કોરોનાના નવા વેરિઅન્ટને લઈને દેશ અને દુનિયાની સરકાર ચિંતિત છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને માસ્ક પહેરવા અને ગાઈડલાઈનનો અમલ કરવા માટે અપીલ કરાઈ રહી છે.
ફરી દેશભરમાં તોળાઈ રહ્યો છે કોરોનાનો ખતરો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માસ્ક ફરજિયાત
પ્રવાસીઓની સંખ્યા વધતા સંક્રમણના ખતરાનો ડર
કોરોનાનો ખતરો ફરી દેશભરમાં તોળાઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર દેશભરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર સતત કરવામાં આવી રહી છે.
પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત
એક તરફ વિદેશોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નવા વર્ષની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ત્યારે આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરાયું છે. આ નિર્ણયને પ્રવાસીઓએ પણ વધાવી લીધો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માસ્ક પહેરીને જ આવી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ
31મી ડિસેમ્બરની ઉજવણી માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બન્યું છે. માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશથી લઈને વિદેશથી પણ પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે આજથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગાઈડલાઈન્સ અમલ કરવા માટે અમે બિલકુલ તૈયારઃ રાહુલ પટેલ
આ અંગે જણાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલે કહ્યું કે, અમારી ટીમ દ્વારા પ્રવાસીઓને કોવિડ ગાઈડલાઈનનું અમલ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમે પણ સોશિયલ મીડિયા અને રેડિયો મારફતે પણ સતત અપીલ કરી રહ્યા છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા મુસાફરો માસ્ક અવશ્ય પહેરીને આવે. તેઓએ વધુમાં જણાવ્યું કે, સરકાર તરફથી જે કંઈ ગાઈડલાઈન્સ આવશે તેનો અમલ કરવા માટે અમે બિલકુલ તૈયાર છીએ.