ભારતમાં કોરોના વાયરસના કારણે સતત કેસમાં વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યાં બીજી તરફ લોકોને બચાવવા માટે વેક્સિન પર તડામાર તૈયારી કરવામાં આવી રહી છે એવામાં ICMR દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
કોરોનાની રસી આવી જાય પછી પણ માસ્ક તો લગાવવું જ પડી શકે છે
જરૂરી નથી કે બધા જ નાગરિકોને વેક્સિન લગાવવી પડે : બલરામ ભાર્ગવ
જો વેક્સિન કામ નહીં કરે તો બુસ્ટર ડોઝ આપવામાં આવશે : બલરામ ભાર્ગવ
ડૉ. બલરામ ભાર્ગવનું મોટું નિવેદન
કોરોના વાયરસની રસી આવી ગયા બાદ પણ દેશના લોકોએ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ તો જાળવવું જ પડી શકે છે. કોવિડ મેનેજમેન્ટ પર આયોજિત એક વેબિનારમાં શનિવારે ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે આ વાત કહી છે. તેમણે કહ્યું કે રસીકારણ બાદ પણ આપણે સાવધાની રાખવી પડશે. તેમણે કહ્યું કે રસી માટે ત્રીજા ટ્રાયલ થઇ રહ્યું છે અને ખૂબ જલ્દી રસીકરણ શરુ થઇ જશે પરંતુ તેનાથી કેટલા સમય સુધી રક્ષા મળશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
જરૂરી નથી કે બધાને વેક્સિન આપવી પડે
તેમણે કહ્યું કે જરૂરી નથી કે બધા જ નાગરિકોને રસી આપવી જ પડશે. અમારા માટે સંક્રમણની ચેનને તોડવી આવશ્યક છે અને તે માટે જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જો વેક્સિન કામ નહીં કરે તો ?
ડૉ ભાર્ગવે જણાવ્યું કે જેટલી પણ રસી પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે તેમાંથી બેમાં ત્રણ ડોઝ આપવા પડશે જે ત્રણથી ચાર સપ્તાહમાં લગાવવામાં આવશે. જો રસી કામ નહીં કરે તો બુસ્ટર ડોઝ લગાવવો પડશે. જોકે ભારત માત્ર પોતાના માટે જ નહીં 60 ટકા વિકાસશીલ દેશો માટે રસી તૈયાર કરી શકશે.
ભારતમાં કેટલી વેક્સિન પર થઇ રહ્યું છે ટ્રાયલ
ICMRનું ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા સાથે ટ્રાયલ ચાલી રહ્યું છે જયારે વિદેશી વેક્સિનમાં રશિયાની સ્પુતનિક અને USની પણ એક વેક્સિનનું ભારતમાં ટ્રાયલ થઇ રહ્યું છે. નોંધનીય છે કે ગઈકાલે જ પીએમ મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ત્રણ અલગ અલગ વેક્સિન પર થઇ રહેલા કામ પર નિરીક્ષણ કર્યું હતું. ભારત સરકાર દ્વારા વેક્સિન આવી ગયા બાદની કામગીરી માટે અત્યારથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.