કોરોના વાયરસની ભયંકર સ્થિતિને જોતા વિદેશથી આવતા દરેક લોકોને 14 દિવસ સુધી ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. દેશની દિગ્ગજ મુક્કેબાજ મેરી કોમે આ એકાંતવાસનાં ધજાગરા ઉડાવ્યા છે. મેરી કોમ વિદેશથી પરત ફર્યા બાદ ન માત્ર ઘરની બહાર ફર્યા પરંતુ રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચી ગયા.
જોર્ડનથી પરત ફર્યા બાદ એકાંતવાસ ન રહી મેરી કોમ
રાષ્ટ્રપતિ ભવનમાં પણ સામેલ થયા હતા મેરી કોમ
લાપરવાહીનાં કારણે ઘણા લોકોનાં જીવ અધ્ધર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિદેશથી સ્વદેશ પરત આવતા લોકોને એકાંતવાસમાં રહેવા સલાહ આપવામાં આવે છે. એવામાં મેરી કોમ 13મી માર્ચે જોર્ડનમાં એશિયા-ઓસનિયા ઓલમ્પિક રમીને સ્વદેશ આવ્યા અને 18મી માર્ચે તો તે રાષ્ટ્રપતિ ભવનનાં કાર્યક્રમમાં હાજરી આપી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિએ ઉત્તરપ્રદેશનાં સાંસદોને બ્રેકફાસ્ટ આપ્યું હતું જેમાં એક ફોટોમાં મેરી કોમ દેખાય છે.
ટૂંક સમય પહેલાં ગાયિકા કનિકા કપૂરે પણ આ જ ભૂલ કરી હતી. વિદેશથી આવ્યા બાદ કનિકા ઘણી જગ્યાએ પાર્ટીમાં સામેલ થઇ. કનિકામાં કોરોના વાયરસ પોઝીટીવ આવ્યા બાદ તેમની પાર્ટીમાં સામેલ થનાર દરેક નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. હવે મેરી કોમે તે જ ભૂલ કરી હોવાનું સામે આવી રહ્યું છે.
ભારતીય ટીમનાં કોચ સેન્ટીયાગો નિવે પણ કબૂલાત કરી હતી કે ભારતીય ટીમનાં બધા ખેલાડી જોર્ડનથી પરત ફર્યા બાદ એકાંતવાસમાં છે. જે બાદ મેરી કોમે પણ સ્પષ્ટતા કરી કે જ્યારથી હું જોર્ડનથી પરત ફરી છું હું ઘરમાં જ છું. હું માત્ર રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જ પહોંચી હતી જ્યાં હું દુષ્યંતસિંહથી મળી પણ નથી અને તેમનાથી હાથ પણ મિલાવ્યો નથી.