કોરોના વાયરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના પગલે ભારતને લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે મોટી મોટી ફેક્ટરી પણ બંધ કરવામાં આવી છે. દેશમાં માસ્ક અને વેન્ટિલેટરની અછત નાં થાય તે માટે હવે ભારતની મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ વેન્ટિલેટર અને માસ્કનાં ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે.
કંપનીએ દર મહીને 10 હજાર વેન્ટિલેટર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
કંપની 3 પ્લાઈ માસ્કનું ઉત્પાદન કરશે
લોકડાઉનનાં પગલે મોટરનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે
કોરોના વાયરસ સામે લડવા માટે સરકાર આકરા નિર્ણયો લઇ રહી છે. દેશનાં ઘણા નાગરીકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે મારુતિ સુઝુકી જરૂરી ઉપકરણોનાં ઉત્પાદનનો સંકલ્પ લીધો છે. કંપનીએ દર મહીને 10 હજાર વેન્ટિલેટર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. મારુતિ સુઝુકીએ તેના માટે હેલ્થ કેર સાથે જોડાયેલી કંપની સાથે સમજૂતી પણ કરી છે. વેન્ટિલેટર બનાવવામાં જેટલો પણ ખર્ચ આવશે તે કંપની ભોગવશે અને તેના માટે સાધનો પણ ઉપલબ્ધ કરાવશે.
મારુતિ સુઝુકી વેન્ટિલેટરની સાથે માસ્કનું પણ નિર્માણ કરશે. કંપની 3 પ્લાઈ માસ્કનું ઉત્પાદન કરશે. જેના માટે જરૂરી પરવાનગી મળ્યા બાદ તરત જ તેનું ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે. આટલું જ નહીં કૃષ્ણા મારુતિના પાર્ટનર અશોક કપૂરે કહ્યું છે કે તે લોકો 20 લાખ માસ્ક સરકારને મફતમાં આપશે.
કંપનીનું કહેવું છે કે તે કોરોના વાયરસ માટે હેઝમેટ જેવા પ્રોટેક્ટીવ ક્લોથિંગ પણ બનાવશે જે દરમિયાન કર્મચારીઓનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. નોંધનીય છે એ હાલમાં લોકડાઉનનાં પગલે મોટરનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે જે બાદ ઓટોમોબાઈલ સેકટર પર બ્રેક લાગી ગઈ છે.