સિયાચીન ગ્લેશિયરમાં 38 વર્ષ પહેલા હિમસ્ખલનમાં દટાયેલા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
38 વર્ષ બાદ સિયાચીન ગ્લેશિયરમાંથી જવાનની લાશ મળી
1984ની સાલમાં હિમસ્ખલનમાં 19 જવાનો દટાયા હતા
તે વખતે કોઈની પણ લાશ મળી નહોતી
હવે લાંસ નાયક ચંદ્રશેખરની લાશ મળી
1984ની સાલમાં બરફમાં દટાયેલા એક ભારતીય જવાનની લાશ હવે મળે તેને પણ કુદરતના એક અજીબ ચમત્કાર સમાન ગણી શકાય. 38 વર્ષથી બરફ નીચે લાશ દટાયેલી રહી અને હવે તે ઉઘાડી પડી તેવી એક કરુણ ઘટના સિયાચીન ગ્લેશિયરમાં સામે આવી છે.
1984માં આવેલા બરફના તોફાનમાં દટાઈ ગયા હતા જવાનો
સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનમાં દટાઈને મોતને ભેટેલા લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનો નશ્વર દેહ 38 વર્ષ બાદ મળી આવ્યો છે. 1984ની સાલમાં સિયાચીનમાં આવેલા બરફના ભયાનક તોફાનમાં 19 જવાનો દટાયા હતા અને તે વખતે એક પણ જવાનનો મૃતદેહ મળ્યો નહોતો, તમામ જવાનને શહીદ જાહેર કરાયા હતા.
1984માં બરફના તોફાનમાં 19 જવાનો દટાયા હતા
મૂળ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રાણીખેત તહસીલ હેઠળના બિંટા હાથીખુર ગામના રહેવાસી લાન્સ નાયક ચંદ્રશેખર હરબોલા 1971માં કુમાઉ રેજિમેન્ટમાં જોડાયા હતા. મે, 1984માં બટાલિયન લીડર લેફ્ટનન્ટ પી.એસ.પુંડીરની આગેવાની હેઠળ 19 જવાનોની એક ટુકડી ઓપરેશન મેઘદૂત માટે રવાના થઈ હતી. 29 મેના રોજ ભારે હિમસ્ખલનથી આખી બટાલિયન બરફના તોફાનમાં દટાઈ ગઈ હતી. આ તમામ જવાનને શહીદ જાહેર કરાયા હતા. બરફના તોફાનમાં દટાયેલી ટૂકડીમાં લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલા પણ સામેલ હતા જેમનો મૃતદેહ હવે બરફમાંથી મળ્યો છે.
લાન્સ નાયકની પત્નીને જાણ કરાઈ
શનિવારે રાત્રે શહીદની પત્ની શાંતિ દેવીને ફોન આવ્યો હતો કે ગ્લેશિયરમાંથી શહીદ લાન્સ નાયક ચંદ્રશેખરનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી મળતા જ એસડીએમ મનીષ કુમાર સિંહ અને તહેસિલદાર સંજય કુમાર સહિત પ્રશાસનની એક ટીમ રવિવારે રામપુર રોડ દહરિયા પર સરસ્વતી વિહાર સ્થિત તેમના ઘરે પહોંચી હતી. એસડીએમએ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારના સભ્યોને દિલાસો આપ્યો હતો. સહાયક સૈનિક કલ્યાણ અધિકારી પુષ્કર ભંડારીએ જણાવ્યું હતું કે, માહિતી અનુસાર, શહીદનો પાર્થિવ દેહ સોમવાર સાંજ સુધીમાં હલ્દવાની પહોંચવાની સંભાવના છે. તેમણે કહ્યું કે શહીદના અંતિમ સંસ્કાર રાણીબાગના ચિત્રશીલા ઘાટ પર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.