હરિયાણાના મહેન્દ્રગઢમાં ડીજે બંધ થવાને લઈને જાનૈયાઓ અને સ્થાનિક લોકો વચ્ચે બઘડાટી બોલી હતી.
હરિયાણામાંથી અજીબોગરીબ મામલો આવ્યો
લગ્ન પ્રસંગમાં જાનૈયાઓએ બઘડાટી બોલાવી
ડીજે બંધ કરાવતા જાનૈયા વિફર્યા
હરિયાણાના મહેન્દ્રગઢમાં ડીજે બંધ થવાને લઈને જાનૈયાઓ અને સ્થાનિક લોકો વચ્ચે બઘડાટી બોલી હતી. જેના કારણે વરરાજાએ જાન લીલા તોરણે પાછી લઈને જવું પડ્યું હતું. પંચમુખ હનુમાન મંદિર પાસે રહેલા એક પરિવારની 2 દિકરી હતી. પ્રથમ દિકરીના લગ્ન તો આરામથી પતી ગયા, પણ બીજી દિકરીના લગ્નમાં જૈનાયાઓ દારૂ પીને આવ્યા અને હોબાળો મચાવ્યો હતો. વાત ગાળો સુધી આવી અને મારપીટ પણ થવા લાગી. બાદમાં છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી.
રસ્તા પર ઉતરી અડધી રાતે ડીજેના તાલે નાચી ધૂત થયા જાનૈયા
કન્યા પક્ષના લોકોનું કહેવુ છે કે, વરરાજો ઘોડી પર સવાર થઈને વાજતે ગાજતે આવ્યા હતા. જાનૈયાઓ દારૂના નશામાં ટલ્લી થઈને ફરતા હતા અને રાતના 1 વાગ્યે પણ રસ્તા પર ઉતરીને નાચવા લાગ્યા હતા. શુભ મુહૂર્ત તો વીતી ગયું પણ જાન સમયસર આવી નહોતી, આ દરમિયાન કોઈએ 112 નંબર પર કોલ કરી દીધો અને પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યું. આ વાતે જાનૈયાઓએ નારાજ થઈ ગયા અને અડધી રાતે કન્યાપક્ષના લોકો પાસે ડીજે મગાવાની જીદ પકડી.
માંડવે પહોંચી વરરાજાએ હોબાળો મચાવ્યો
જેમ તેમ કરીને રાતના સમયે ડીજેની વ્યવસ્થા કરવામા આવી. આ દરમિયાન કન્યા પક્ષે લગ્નનું શુભ મુહૂર્ત વીતિ ગયું હોવાની વાત કરી, જાનૈયાઓ તો મનમુકીને નાચતા હતા. સાથે બેંડવાળા લોકો સાથે પણ બોલચાલી કરવા લાગ્યા. વરરાજો જ્યારે લગ્નના માંડવે પહોંચ્યો તો તેણે ભારે હોબાળો કર્યો, વરમાળા પણ ગળામાંથી ઉતારીને ફેંકી દીધી. કન્યા અને તેના માતા-પિતાને પણ ગાળો ભાંડવા લાગ્યો. સાથે જ જાનૈયાઓએ પણ ખૂબ હોબાળો મચાવ્યો.
લીલા તોરણે જાન પાછી ગઈ
કન્યા પક્ષે આરોપ લગાવ્યો છે કે, વરરાજો પણ દારૂના નશામાં ધૂત હતો, જ્યારે કન્યાએ આખો મામલો જોયો તો, તેણે ફેરા લેવાની ના પાડી દીધી. સવાર સુધી રિસામણા-મનામણા ચાલ્યા. પણ વાત જામી નહીં. જાન પાછી ગઈ. પણ વર પક્ષના લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. બાદમાં પંચાયત મળી અને નિર્ણય લીધો. જેના પર બંને પક્ષ રાજી થયા. બાદમાં વરરાજો દુલ્હન લીધા વગર જ પાછો ગયો.