સંસ્થાએ અત્યાર સુધી કુલ 88 દીકરીઓ કે જેમને માતા-પિતા બંને હયાત નથી અથવા તો પિતા હયાત નથી તેવી દીકરીઓને પરણાવી છે. વધુ 22 દીકરીઓનો લગ્નોત્સવ યોજાયો
વહાલુડીના વિવાહનો રંગે ચંગે સમાપન
સતત ચોથા વર્ષે થયું આયોજન સફ્ળ
22 દીકરીઓના એક માંડવે સમૂહ લગ્ન
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે 22 દીકરી એકસાથે પ્રભુતામાં પગલા માંડશે. આજે જે 22 દીકરીઓના લગ્ન છે તેમાં કોઇએ માતા-પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા-પિતા ભલે હયાત નથી પરંતુ આજે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જોડાયા છે. 22 દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન યોજાયા હતા
આ સંસ્થા દ્વારા દર વર્ષે માતા પિતા ની છત્ર ગુમાવેલ દીકરીઓના લગ્ન કરવામાં આવે છે ત્યારે આયોજક મુકેશ દોશીએ જણાવ્યું કે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતા આજના દિવસે સતત ચોથા વર્ષે જે આયોજન કર્યું છે તે એટલા માટે કે વહાલુડીના વિવાહ કાર્યક્રમ અમારા સૌનો પ્રિય કાર્યક્રમ છે. અત્યાર સુધી કુલ 88 દીકરીઓ કે જેમને માતા-પિતા બંને હયાત નથી અથવા તો પિતા હયાત નથી તેવી દીકરીઓને પરણાવી છે. આજે વધુ 22 દીકરીઓનો લગ્નોત્સવ યોજાઇ રહ્યા છે. ત્યારે 171 કાર્યકર્તાની દોઢ મહિનાની મહેનત બાદ વહાલુડીના વિવાહ શરૂ થતા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે વહાલુડીના વિવાહ યોજાયા હતા
આજે જે દીકરીના લગ્ન છે તે દીકરીઓ પૈકી એક દીકરી લુણાગરિયા હેત્વીએ જણાવ્યું હતું કે, મારા પિતાનું કોરોનામાં બીજી ઘાતક લહેર દરમિયાન મૃત્યુ થયા બાદ ઘરની પરિસ્થિતિ આર્થિક સારી ન હતી. પરંતુ આજે મારા લગ્ન છે, પિતાની હયાતી જરૂર નથી પરંતુ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે મારા લગ્ન આટલી સારી અને જાજરમાન રીતે થશે. રાજકુંવરીના લગ્ન હોય તેવા અમારા લગ્ન થઇ રહ્યા છે. આયોજકોનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
સામાન્ય રીતે એક પિતા દીકરીને તેમના લગ્ન સમયે ઘર વખરીની તમામ નાનામાં નાની વસ્તુથી લઇ સોના-ચાંદીના ઘરેણાં પહેરવા કપડાં અને બેડ તેમજ કબાટ આપે એ જ રીતે વહાલુડીનાં વિવાહમાં 22 દીકરીઓને 225 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે