બોમ્બે હાઇકોર્ટ તરફથી મરાઠા આરક્ષણને મંજૂરી આપવાની સાથે સુપ્રીમ કોર્ટના તે ચુકાદા પર પણ સવાલ ઉભો થઇ રહ્યો છે જેમાં અનામતની સીમા 50 ટકા સુધી નક્કી કરવામાં આવી હતી. મરાઠાઓઓને નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામતને મંજૂરીની સાથે અહીં અનામત 70 ટકા જેટલું થઇ જશે.
મહારાષ્ટ્ર હાઇકોર્ટના જસ્ટિસ રંજીત મોરે અને ભારતી ડાંગરેની ખંડપીઠે મરાઠા અનામતને બંધારણીય રીતે કાયદેસર કહ્યું છે. આ મુદ્દો અહીં છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચાનો વિષય રહ્યો છે. જો કે કોર્ટ દ્વારા રાજ્ય સરકારને 16 ટકા અનામતની જગ્યાએ શિક્ષામાં 12 ટકા અને નોકરીઓમાં 13 ટકા સુધીનું સુચન કર્યું છે.
આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામતની સાથે મહારાષ્ટ્રમાં અનામત 70 ટકા સુધી પહોંચી ગયું છે.આ આદેશ સાથે અનામતને લઇને નવી વસ્તુઓ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 1993ના ઇન્દિરા સાહની મામલે અનામત માટે 50 ટકા સુધી મર્યાદા નક્કી કરી હતી. આ કારણો સર ગુરૂવારના રોજ હાઇકોર્ટનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે જાતિગત અનામત માટે 50 ટકા સુધી મર્યાદા નક્કી કરી હતી.
આ નિર્ણય બાદ કેટલાક અન્ય રાજ્યમાં પણ અનામતને લઇને એકવાર ફરી આંદોલન માથુ ઉંચકી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું. જેમાં પાટીદાર સમાજને અનામત આપવા માટે પાસના તત્કાલીન કન્વીનર હાર્દિક પટેલે અનામત આંદોલન ચલાવ્યું હતું.
જેને રાજ્યભરમાં પાટીદારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનને લઇને યોજેલી સભામાં લાખો પાટીદારો એકઠા થયા હતા. આમ જો મહારાષ્ટ્રમાં જો મરાઠા અનામતને મંજૂરી બાદ ગુજરાત સહિત અનેક રાજ્યમાં ફરી અનામત આંદોલનને લઇને આક્રોશ જોવા મળશે.
રાજસ્થાન સરકાર એકવાર ફરી ગુર્જર કોટાની પહેલ કરી શકે છે જ્યારે હરિયાણામાં આ જ રીતે જાટ અનામતનો મુદ્દો ફરી જોવા મળી શકે છે. આ બંને રાજ્યના પ્રયત્નોને કોર્ટે નામંજૂર કર્યા હતા. મરાઠા અનામતને મંજૂરી આપતા કોર્ટે જણાવ્યું કે વિશેષ પરિસ્થિતિઓમાં 50 ટકા કોટાની મર્યાદામાં વધારો કરી શકાય છે.
મરાઠા અનામતને પડકાર આપનાર સંજીવ શુકલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી આ નિર્ણયને નામંજૂર કરે ત્યાં સુધી હાઇ કોર્ટનો આ નિર્ણય રાષ્ટ્રીય આપત્તિ છે. અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.