મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ તેજ થઈ રહી છે. આંદોલનમાં અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. ત્યારે આજથી મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા આરક્ષણ માટે જેલ ભરો આંદોલન શરૂ થઈ રહ્યું છે.
તો બીજી બાજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તો રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવાના પણ આદેશ આપ્યા છે.
મરાઠા સમાજના જણાવ્યા મુજબ રાજ્યની ભાજપ સરકાર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ થયેલા કેસ પાછા ખેંચવામાં નિષ્ફળ રહી છે. તેના વિરુદ્ધમાં મુંબઈમાં જેલભરો આંદોલન થશે.
મરાઠા સમાજની માગ છે કે તેમના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ થયેલા કેસ ખોટા છે. તેને પરત ખેંચી લેવામાં આવે. સાથે જ જે લોકો મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોને 50 લાખની સહાય આપવામાં આવે.