શનિવારે છત્તીસગઢમાં થયેલા હુમલામાં 22 જવાન શહીદ થયા છે. ત્યારે હવે પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માઓવાદી)એ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે તેમની લડાઈ પોલીસ કે સેના વિરૂદ્ધ નથી.
છત્તીસગઢમાં સેનાના જવાનો પર હુમલાનો મામલો
અમિત શાહની કડક ટિપ્પણી બાદ નક્સલીઓની પ્રતિક્રિયા
અમારી લડાઈ સેનાથી નથીઃ માઓવાદી પ્રવક્તા
છત્તીસગઢના સેના પરના થયેલા નક્સવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બીજાપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં શહીદોને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. તો અહીં તેમણે કહ્યું હતું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. અમિત શાહે નક્સલીઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવતા તીખી ટિપ્પણીઓ કરી હતી. ત્યારે આ નક્સવાદી હુમલા પર અમિત શાહના નિવેદન પર માઓવાદીઓએ પ્રતિક્રિયા આપી છે.
લડાઈને હવે નિર્ણાયક મોડ પર લઇ જવાશેઃ અમિત શાહ
સોમવારે છત્તીસગઢનો પ્રવાસ કરનારા શાહે કહ્યું કે, 22ના બલિદાનને ચરમપંથીઓ વિરૂદ્ધ લડવામાં આવી રહેલી લડાઈને નિર્ણાયક મોડ પર લઇ જવા માટે યાદ કરવામાં આવશે. માઓવાદીઓએ બીજાપુર-સુકમા બોર્ડરની પાસે એક વિસ્તારમાં સેના પર ઘાતકી હુમલો કર્યો. આ દરમિયાન સીઆરપીએફના જવાન એક વન વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર નિકળ્યા હતા.
અમિત શાહ કોનાથી બદલો લેશે?: માઓવાદી
માઓવાદીના પ્રવક્તા અભયે સોમવારે નિવેદનમાં કહ્યું કે, અમિત શાહ કોનાથી બદલો લેશે? વિદ્રોહી લોકો અને માઓવાદી એક જ છે અને દિવસેને દિવસે દબાયેલા લોકો પૂંજીવાદી અને બ્રાહ્મણવાદી સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છીએ.
સેનાના લોકો જ્યારે હથિયાર લઇને આવે છે તો લડવું અમારી મજબૂરીઃ માઓવાદી
અમે માનીએ છીએ કે સેનામાં ભરતી થનારા લોકો પણ શોષિત લોકોનો ભાગ છે અને જ્યારે તેઓ અમારી સામે લડવા માટે હથિયાર લઇને આવે છે તો લડવું અમારી મજબૂરી છે. અમે મૃતકના પરિવારો સાથે સહાનુભૂતિ રાખીએ છીએ અને CPI(માઓવાદી) લોકોને અપીલ કરે છે કે તેઓ પોતાના બાળકોને સેનામાં સામેલ થવા માટે ન મોકલે.
એક જ સમયે અમે 100 પોલીસ કર્મચારીઓને મારવા સક્ષમઃ માઓવાદી
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં છેલ્લા 4 મહિનામાં 28 નક્સલીઓ માર્યા ગયા છે અને એક જ સમય દરમિયાન અંદાજિત 100 પોલીસ કર્મચારીઓને મારવા કે ઇજાગ્રસ્ત કરવામાં સક્ષમ રહ્યા છીએ. માઓવાદીઓએ સપ્ટેમ્બરમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ 26 એપ્રિલે દેશવ્યાપી બંધનું આહ્વન કર્યું છે.