છોટાઉદેપુરના નસવાડીમાં ડુંગરોથી ઘેરાયેલા વિસ્તારના લોકો કાચા રસ્તા પરથી પોતાના ગામે જવા માટે 5થી 10 કિમી પગપાળા ચાલવું પડે છે
ખોખલા વિકાસની આ છે વાસ્તવિક્તા
શું આ છે વિકાસશીલ ગુજરાતની તસ્વીર?
અંતરિયાળ ગામડામાં ક્યારે પહોંચશે વિકાસ?
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો એક એવો વિસ્તાર કે, જે વિસ્તાર અવિકસિત છે. જેમાં કૂપ્પા, ગનીયાબારી, સાંકડીબારી, છોટીઉંમર, ખેંદા, ખોખરા, અત્રાસ ગામના ગ્રામજનો માટે દરરોજની મુસાફરી જીવના જોખમે કરી રહ્યા છે. લોકોને જીવન જરૂરિયાતના કામ અર્થે નસવાડી જવું હોય તો, બાઈક લઇને જવું પડે છે. ગરીબ આદિવાસી પાસે બાઈકની સુવિધા પણ ન હોઈ તો, તેમને પગપાળા ચાલતા જવું પડે છે. કાચા અને જોખમી રસ્તાને લઈ લોકોને બસ સુવિધા પણ મળતી નથી. અને જીવના જોખમ કેડીમાં જોખમી મુસાફરી કરવા મજબૂર તો બન્યા છે. પરંતુ એક જ ગામની એક જ જીપ હોય તેમાં જ લોકોને કામ અર્થે આવું જવું પડે છે. સાથે ખેડૂતોનો પાક પણ આ જીપમાં ભરીને વેચવા જતાં હોય છે. જેને લઈ જીપ ઉપર ગામના મુસાફરો ભરી મોટા ભાગની જીપો નસવાડી આવે છે. રસ્તાના અભાવે એસ ટી બસની સુવિધાઓ નથી.
ડુંગરોથી ઘેરાયેલ આ વિસ્તારના લોકો કાચા રસ્તા પરથી પોતાના ગામે જવા માટે 5થી 10 કિમી પગપાળા ચાલતા જોવા મળી રહ્યા છે. કેટલાક એવા પણ ગરીબ આદિવાસી લોકો મળ્યા કે, જેવો પાંચ લીટર કેરોસીન મેળવવા 6 કિમી ચાલતા જતા સસ્તા અનાજની દુકાને જતાં જોવા મળ્યા તો, કેટલાક લોકો સસ્તા અનાજની દુકાન પરથી 70 રૂપિયાનું અનાજ મેળવવા 100 રૂપિયાનો પેટ્રોલ ખર્ચ કરી રહયા છે. ખરાબ રસ્તાને લઇ તેમની બાઈક એક વર્ષમાં ખખડ ધજજ થઈ જાય છે.
આરોગ્ય સેવા નો તો બિલકુલ અભાવ જોવાઈ રહ્યો છે. કેટલાક આ વિસ્તારના એવા ગામ છે કે, જે ગામના લોકો બીમાર પડે તો 20 કિમી દૂર આવેલા સરકારી દવાખાને જવું પડે છે. ડુંગર વિસ્તારમાં 108 કે, અન્ય કોઈ વાહનો જઇ શકતા ન હોવાથી દર્દીઓની હાલત કફોડી બને છે. ખાનગી જીપમાં દરરોજનું આ રીતે ગ્રામજનો જીવના જોખમે ઊંચા ડુંગરોથી જીપ મુસાફરો ભરી ઉતરી જાય છે. 500ની વસ્તી ધરાવતા ગામમાં એક જ જીપ હોય છે. જેથી આવી મુસાફરી કરવા મજબૂર છે.