અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આગામી નવેમ્બર-ડિસેમ્બર, 2020ની આસપાસ યોજવા માટે ચક્રો ગતિમાન કરનારા સત્તાવાળાઓ કોરોના મહામારીને ભૂલી ગયા હોવાનું લોકમુખે ચર્ચાતું રહ્યું છે. સરકારી યાદીમાં શહેરમાં કોરોનાના કેસ વધતાં અટકયા હતા. તેમ છતાં ગઇ કાલે અચાનક તંત્રે કોરોનાને વધુ ફેલાતો અટકાવવા જે રીતે આકરા પગલાં જાહેર કર્યા અને ખાસ તો પાનના ગલ્લાવાળાને ટાર્ગેટ કરાયા તેના કારણે અમદાવાદમાં છૂપી રીતે કોરોના વકરી રહ્યો હોવાનું પણ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જો પાનના ગલ્લાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે તો તંત્રે બે મહિના સુધી ઘોર બેદરકારી દાખવી તે પણ પ્રકાશમાં આવ્યું છે. કેમ કે છેલ્લા 60 દિવસમાં સત્તાવાળાઓએ રોજના બે ગલ્લા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાવાના મામલે સીલ કર્યા નથી.
19 મેએ પશ્ચિમ અમદાવાદમાં પાનના ગલ્લાને 'ટેક અવે'ની રાહત સાથે છૂટ અપાઈ હતી
પશ્ચિમ વિસ્તારમાં મસાલા-સિગારેટના બંધાણીઓ ઊમટી પડતાં સ્ટોક પણ ખૂટી ગયો હતો
સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોવા છતાં ગલ્લાવાળા સામે લાલ આંખ ન કરાઈ
ગઇકાલે સત્તાવાળાઓને અચાનક યાદ આવ્યું હતું કે પાનના ગલ્લે ગ્રાહકોના ટોળે ટોળાં ઊમટે છે. તેમજ પાન-મસાલો ખાઇને રોડ પર પિચકારી મારે છે. આ ઉપરાંત પાનના ગલ્લેથી પાન કે મસાલાના પાર્સલ બંધાવીને રવાના થઇ જવાનો નિયમ સરકારી કાગળ પર રહ્યો હોઇ તંત્ર અચાનક બેબાકળું બન્યું હતું. પ્રોપર્ટી ટેકસના કરદાતાઓ માટે ખાલી-બંધ યોજનાને શરૂ કરવાની ચૂંટણીલક્ષી જાહેરાત કરનાર શાસકો પણ ભૂલી બેઠા હતા કે ગત તા.19 મે 2020થી એટલે કે લોકડાઉન-૪થી પશ્ચિમ અમદાવાદમાં માત્ર 'ટેક અવે'ની શરતથી પાનના ગલ્લા શરૂ કરવાની છૂટ અપાઇ હતી. લગભગ પ૪ દિવસ બાદ પશ્ચિમ અમદાવાદમાં પાનના ગલ્લા ખૂલતાં પાન-મસાલા-સિગારેટના અનેક બંધાણીઓએ રીતસરની દોટ લગાવીને સ્ટોક પણ ખૂટવાડી દીધો હતો. તંત્રની નજર સમક્ષ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડતા રહ્યા તેમ છતાં સત્તાવાળાઓએ આંખ આડા કાન કર્યા.
પશ્ચિમ અમદાવાદની જેમ 'ટેક અવે'ની શરતથી ખોલવાની છૂટ અપાઇ હતી
જ્યારે પૂર્વ અમદાવાદમાં પણ અનલોક-1 હેઠળ 1 જૂનથી પાનના ગલ્લાઓને પશ્ચિમ અમદાવાદની જેમ 'ટેક અવે'ની શરતથી ખોલવાની છૂટ અપાઇ હતી. માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા સિવાયના સમગ્ર અમદાવાદમાં પાનના આશરે 7,000થી વધુ ગલ્લા ધમધમતા થયા હતા અને જાણીતા હોય કે ગલી-ખાંચાના ગલ્લા હોય મહદંશે ક્યાંય પણ પાન-મસાલા બંધાવીનેે લઇ જવાની શરત પળાતી ન હતી. આની સાથે સત્તાવાળાઓએ સુપર સ્પ્રેડર્સની તપાસના બીજા રાઉન્ડમાં પાનના ગલ્લાવાળાઓનો પણ સમાવેશ કરીને પાનના ગલ્લાથી કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે તે બાબતનો આડકતરો સ્વીકાર કરી લીધો હતો.
ગ્રાહકો થૂંકશે તો પાનના ગલ્લાવાળાને રૂ.10,000નો દંડ
ગત તા.7 જુલાઇથી સુપર સ્પ્રેડર્સની તપાસ માટે 48 વોર્ડમાં 48 ટીમ ઉતારીને એન્ટિજન ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે તેમ છતાં કેટલા પાનના ગલ્લાવાળાઓને કોરોના પોઝિટિવ આવ્યો તેની લોકઉપયોગી માહિતી આજ દિન સુધી તંત્ર છુપાવી રહ્યું છે. બીજી તરફ મ્યુનિ. વર્તુળોમાં ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે કે સામાન્ય ચૂંટણીના આયોજનમાં રચ્યા-પચ્યા રહેનાર મહાનુભાવો એન્ટિજન ટેસ્ટિંગના આંકડા જોઇને ચોંકી ઊઠયા હશે એટલે જ ગઇ કાલે પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકશે તો પાનના ગલ્લાવાળાને રૂ.10,000નો દંડ ફટકારવાની આકરી કાર્યવાહી જાહેર કરવાની ફરજ પડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના મામલે શહેરમાં ગઇ કાલે 376 ગલ્લાને તાળાં મારીને કુલ રૂ.3.59 લાખનો દંડ પણ તંત્રે વસૂલ્યો હતો.
દરરોજના બે પાનના ગલ્લાને પણ તાળાં મરાયાં ન હતાં!
જો તંત્ર ખરેખર આ મામલે ગંભીર હોત તો તા.19મેથી ગત તા.11 જુલાઇ સુધીમાં માત્ર 89 ગલ્લાને સીલ ન કર્યાં હોત. એટલે કે દરરોજના બે પાનના ગલ્લાને પણ તાળાં મરાયાં ન હતાં! આ ઉપરાંત તંત્રની 151 ટીમ દ્વારા ગત તા.1થી 11 જુલાઇ સુધીમાં પાનના ગલ્લા પાસેથી ગંદકી, માસ્ક ન પહેરવો વગેરે મામલે ફકત રૂ.6.35 લાખનો દંડ જ વસૂલાયો હતો! આમ તંત્રની પાનના ગલ્લાવાળા સામે કડક પગલાં લેવાના મામલે દાખવાયેલી ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. તંત્રે રહી રહીને લાલ આંખ કરતાં સુકા ભેગું લીલું બળી જવાની ભીતિ સર્જાતાં શહેરમાં અફવાનું બજાર તેજ થતાં પાન-મસાલાના રસિયાઓ ફફડી ઊઠ્યા છે.
દરમિયાન, આજે સતત બીજા દિવસે પણ તંત્રની પાનના ગલ્લાવાળાઓ ઉપર તવાઈ ઊતરી હતી અને ગુરુકુલ વિસ્તારમાં તંત્રની દંડાશાહીના ખોફથી પાનના ગલ્લાવાળાઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.