ઉનાળો શરુ થતા રાજ્યમાં જળસંકટ ઘેરુ બન્યુ છે. ત્યારે મોરબી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠામાં પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે.
મોરબીના હળવદમાં સોસાયટીઓમાં પાણી મુદ્દે કકળાટ
મહીસાગર જિલ્લાના ચનાસેરો ગામે પાણીની ભારે અછત
ઝાલોદના લીલવાઠાકોર ગામે પાણીની ભારે અછત
પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
સામાન્ય રીતે ઉનાળામાં લોકોની પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે ત્યારે લોકો નિયમિત રીતે પાણી મળે તેની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાની હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારીના કારણે લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવું રાજ્યના અલગ અલગ જિલ્લાઓ ઉપર જોવા મળતું હોય છે. ત્યારે મોરબી, મહીસાગર દાહોદ અને બનાસકાંઠામાં પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી ન મળતાં ભારે પરેશાની
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે..અનેક વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી ન આવવાના કારણે લોકોને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડી રહ્યું છે.સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા નર્મદા કેનાલ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે.પરંતુ નર્મદાનું પાણી પણ ઘણા ગામડાઓમાં પહોંચતું નથી.જેના કારણે અનેક ગામડાઓ હાલ પાણી માટે વલખા મારી રહ્યાં છે.કુંડાળિયા અને રાધાનેસડા સહિત સરહદી વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે.અહીંના લોકો પીવાના પાણી માટે ટેન્કરો મંગાવી રહ્યાં છે.પરંતુ ટેન્કરમાં પણ પીવાલાયક પાણી મળતું નથી.જેથી પાણી માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ સગવડ કરવામાં આવતી નથી.
મોરબીના હળવદમાં સોસાયટીઓમાં પાણી મુદ્દે કકળાટ
ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાના હળવદની તો પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગાયા છે.હળવદમાં સોસાયટીઓમાં નિયમિત પાણી આપવામાં આવતું ન હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હરીનગર અને હરી ગોલ્ડ સોસાયટીમાં એક મહિના કરતા વધારે સમયથી નિયમિત પાણી મળતું નથી.જે અંગે એનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળતું નથી. જેથી પાણીની સમસ્યાને લઇને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર કરી અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.જો કે, આ અંગે ચીફ ઓફિસરે કહ્યું કે, હળવદમાં દૈનિક કેટલા પાણીની જરૂરિયાત છે અને કેટલું પાણી મળે છે તેની કોઇ આંકડાકીય માહિતી નથી.અને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, આ બંને સોસાયટીમાં નિયમિત રીતે પાણીનું સપ્લાય થતું નથી.
દાહોદ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ
તો આ તરફ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે.લીલવાઠાકોર ગામે વર્ષ પહેલા સરકારી નળ સે જળ યોજના અંતર્ગત નળના કનેકશન તો આપી દેવામાં આવ્યા છે.પરંતુ આ નળમાં પાણીની ગ્રામજનો છેલ્લા વર્ષથી રાહ જોઇ રહ્યા છે.ગ્રામજનો પાણી માટે બે કિલોમીટર દૂર જવા મજબૂર છે.આ ગામમાં 6 હજારની વસ્તી હોવા છતાં પણ તંત્ર દ્વારા પાણીનો કોઇ કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો.હાલ તો પાણી માટે વલખા મારતુ ગામ તંત્રને વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી રહ્યા છે.
મહીસાગરના ચનાસેરો ગામમાં પીવાના પાણી માટે 2 કિલોમીટર દૂર જવા મજબૂર
બીજી તરફ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ચનાસેરો ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે.ચનાસેરો ગામમાં અંદાજીત છૂટાછવાયા ૨૦૦ થી વધારે મકાનો આવેલા છે તેમાં ૩૦૦૦ થી વધુની વસ્તી ધરાવે છે.ગામમાં માત્ર બે કે ત્રણ હેડપંપ છે. જ્યાં માત્ર 15થી 20 મિનિટ જેટલુ પાણી આવે છે.હેડપંપ પર પાણી ભરવા માટે ગ્રામજનો વહેલી સવારે 4 વાગ્યાથી જ લાઇનો લગાવી દે છે.આ ઉપરાંત પાણી માટે ગ્રામજનો 2 કિલોમીટર દૂર જવા મજબૂર છે. ગ્રામજનો દ્વારા પાણીની અછત મામલે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ યોગ્ય નિરાકરણ નથી લાવવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે, ચાનસેરો ગામ થી ત્રણ કિલોમીટર દૂર ભાદર ડેમ આવેલ છે તેમજ બે કિલોમીટરના અંતરે સુજલામ સુફલામ કેનાલ પણ આવેલી છે આ બંને જળના જે સ્ત્રોતો છે તેમાં હાલ પાણી છે પરંતુ તેમની વચ્ચે આવેલા ગામના લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે