આપણા હિન્દુધર્મમાં સપ્તપદીનું ઘણુ મહત્ત્વ છે. લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. એક વખત સાત ફેરા લીધા એટલે વર-વધૂ સાત જન્મ સુધી એકમેકનાં બંધનમાં બંધાઈ જાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સોળ સંસ્કારમાં સૌથી મહત્ત્વનાં લગ્ન છે અને સાત ફેરા વગર લગ્ન અધૂરાં છે, પરંતુ આપણે અહીં વાત કરવાની છે, આઠમા ફેરાની, એક અવધારણાની.
કારકિર્દીનો ભોગ આપવાનો હોય ત્યારે પણ પત્ની તરીકે તેણે જ આગળ આવવાનું
આઠમો ફેરો લગ્નજીવનમાં પત્નીને સમાનતા અને આદરભાવ આપવાની સમજણની વાતનું પ્રતીક છે
53.9 ટકા ભારતીય મહિલાઓ હિંસાનો શિકાર બને છે
વધૂ પોતાના જીવનસાથી સાથે સાત ફેરા ફરે છે સાથે દરેક પ્રકારનાં વચનોથી પણ બંધાય છે અને છેલ્લો ફેરો ફરી તે પોતાનો જીવ પણ પતિને સમર્પિત કરે છે. એટલે કે જો તમને મૃત્યુ આવશે તો પહેલાં હું તેનો સામનો કરીશ. તમારા પહેલાં હું દુનિયાને અલવિદા કહીશ. આ છેલ્લા અને સાતમા ફેરા સાથે વર-વધૂ સાત જન્મો માટે પતિ-પત્નીના બંધનમાં બંધાઈ જાય છે અને શરૃ થાય છે તેમનું નવું જીવન. જેમાં વધારે પત્ની જ સાત ફેરાનાં વચનોનું પાલન કરતી હોય છે. પતિની, તેના પરિવારની, સગા સંબંધીની સેવા કરવી, બાળકોને જન્મ આપવાથી લઈને ઉછેર કરવો, સમાજના દરેક પ્રસંગમાં ઘરની વહુ અને સુશીલ પત્ની તરીકે ફરજ નિભાવવી. જ્યારે ઘરનો પુરુષ વર્ગ મહત્ત્વના નિર્ણય કરતા હોય ત્યારે ચૂપચાપ પોતાનો અભિપ્રાય આપ્યા વિના માત્ર ને માત્ર હામી ભરવી, ત્યાં સુધી કે જ્યારે પરિવાર, બાળકો કે કોઈ અન્ય કારણોસર કારકિર્દીનો ભોગ આપવાનો હોય ત્યારે પણ પત્ની તરીકે તેણે જ આગળ આવવાનું.
પોતાના પિયર અને સાસરી વચ્ચે જ્યારે પ્રસંગ કે કોઈ અન્ય વાતને સહકાર આપવાનો હોય ત્યારે પણ દીકરી કરતાં પત્ની બનીને જ વિચારવાનું હોય છે, પરંતુ જ્યારે પતિએ સાત ફેરાનાં વચન નિભાવવાની વાત આવે છે ત્યારે તેમાં તે લગભગ નિષ્ફળ નિવડે છે. કદાચ આ જ કારણોસર હવે પતિ-પત્નીને આઠમા ફેરાની પણ જરૃર છે. હવે એવો વિચાર આવે કે જ્યારે શાસ્ત્રોમાં સાત ફેરા લખ્યા છે તો એમાં આપણે આઠમો ફેરો કેવી રીતે ઉમેરી શકીએ પણ આ આઠમો ફેરો શાસ્ત્રોક્ત વિધિમાં ઉમેરવાની જરુર નથી પણ આઠમો ફેર એ એવી અવધારણા છે, જેને પતિ-પત્નીએ પારસ્પરિક સમજણ થકી પોતાના જીવનમાં ઉતારવાની અને તેને નિભાવવાની જરુર છે. ટૂંકમાં આઠમો ફેરો ફરવાની વાત નથી પણ આઠમો ફેરો લગ્નજીવનમાં પત્નીને સમાનતા અને આદરભાવ આપવાની સમજણની વાતનું પ્રતીક છે. આઠમો ફેરો વ્યક્તિએ લગ્નવેદીની ફરતે નહીં પણ પોતાના મનમાં ફરવાનો છે, જેમાં તે પોતાની પત્નીને સમાનભાવ અને સ્વતંત્રતાના વચનનું પાલન કરવા કટિબદ્ધ રહેવાનો સ્વીકાર કરે. સાત ફેરામાં ધાર્મિક કાર્યોમાં બરાબરી, સમ્માન, જીવનભરનો સાથ, જવાબદારીનો અહેસાસ, સમાનતાનો અધિકાર, પ્રતિષ્ઠા અને પ્રેમમાં સમાવેશની વાત કરવામાં આવી છે, પરંતુ હવે તેના અમલ માટે કાલ્પનિક એવા આઠમા ફેરાની જરૃર છે.
સાથે મળીને ભવિષ્યનાં સપનાં જોઈશું
અત્યાર સુધી જે થઈ ગયું તેની વાત જવા દો, પરંતુ ભવિષ્યમાં ઘર-પરિવાર, આર્થિક, કરિયર સંબંધી દરેક નિર્ણયમાં પત્નીનો સમાવેશ કરી સુંદર ભવિષ્યનો પાયો રોપવાનો. જાતીય અસમાનતામાં ભારત ૧૨૯ દેશોમાં ૯૫ નંબર પર છે. 53.9 ટકા ભારતીય મહિલાઓ હિંસાનો શિકાર બને છે. હવે સમય આવી ગયો છે, આ આંકડાને બદલવાનો અને સાથે મળી સુંદર ભવિષ્યનું નિર્માણ કરવાનો.
મિલકતમાં સમાનતા
ભારતમાં ૪૦ ટકા મહિલાઓ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. છતાં પણ માત્ર ૯ ટકા જમીન પર જ તેમનું નિયંત્રણ છે. અડધાથી ઉપર એવી મહિલાઓ છે જેમની પાસે પોતાનું બેંક એકાઉન્ટ પણ નથી. જ્યારે ૬૦ ટકા મહિલાઓ પાસે પોતાની કહી શકાય તેવી કોઈ મૂલ્યવાન મિલકત નથી. તો હવે મહિલાઓને પણ મિલકતમાં સમાનતા મળે તેવા પ્રયત્ન કરવાની જરૃર છે.
ઘરકામ અને બાળકોના ઉછેરમાં પત્નીને સહકાર
બાળકને જન્મ માતા આપે છે. માટે તેનો લગાવ પણ માતા બાજુ વધારે હોય તે સ્વાભાવિક છે, પરંતુ આ લગાવને બાળક પ્રત્યે માતાની જવાબદારી સમજી લેવામાં આવે છે. સંતાનના ઉછેરમાં દરેક પ્રકારનો ત્યાગ માત્ર માતાએ જ કરવો પડે છે. આંકડા પર નજર નાંખીએ તો ૪૩ ટકા માતા એવી છે જે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ બાળકના ઉછેર માટે નોકરી છોડી દે છે. કારકિર્દીનો આ બ્રેક ઘણો લાંબા સમય માટેનો બનીને રહી જાય છે. ઘણીવાર તો નોકરી છોડ્યા પછી માતા ક્યારેય જોબ પર પરત નથી ફરી શકતી. ૫૭ ટકા પ્રોફેશનલ્સ મહિલાઓ જ નોકરીને સેકન્ડ ચાન્સ આપવામાં સફળતા મેળવે છે. જ્યારે તેમાંથી પણ ૪૦ ટકા મહિલાઓ ફુલ ટાઇમ જોબ કરી શકે છે. પ્રશ્ન એ થાય છે કે બાળકના જન્મ પછી મહિલાઓની કારકિર્દી પર જ કેમ બ્રેક લાગી જાય છે..? જો પરિવાર અને પતિનો સહકાર મળી રહે તો મહિલા માતા બન્યા પછી પણ કરિયરને સારી રીતે અપ કરી શકે છે.
લગ્ન પછી પણ કારકિર્દી
લગ્ન પછી મહિલાઓ પારિવારિક દબાણમાં આવીને નોકરી છોડી દેતી હોય છે. ત્યારે આઠમા ફેરાને આધાર બનાવી મહિલાઓ પરથી આ દબાણને હટાવી શકાય છે. યુનાઇટેડ નેશન્સ પ્રમાણે ભારતમાં ૨૯ ટકા મહિલાઓ જ પોતાની શ્રમ શક્તિનો ઉપયોગ કરી શકે છે. ૨૦૦૪માં આ આંકડા ૩૫ ટકા હતા. નોકરિયાત હોય કે ઘરેલુ મહિલા, પરંતુ દરેક જવાબદારી માત્ર તેના પર જ ના હોય તેનું ધ્યાન પતિ અને પરિવાર બંનેએ રાખવું જરૃરી છે. લગ્ન પછી પણ પોતાની કારકિર્દીને મહત્ત્વ આપી શકે એટલંુ તો કરવું જ જોઈએ. લગ્નના સાત ફેરાને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા માટે જ આઠમા ફેરાની જરૃર છે. ઘણી મહિલાઓને લાગે છે કે આઠમા ફેરાને મજબૂત બનાવવા માટે બાળકોનો સારો ઉછેર જરૃરી છે. દીકરા અને દીકરી વચ્ચેની ભેદરેખા દૂર થાય અને દીકરો પોતાની બહેનની, માતાની અને પરિવારની અન્ય મહિલાઓની આમન્યા રાખતા શીખશે તો તે પોતાની પત્નીને પણ માન જરૃર આપશે જ. મહિલાઓ નાની હોય છે ત્યારથી જ તેમના પર દબાણ રહે છે. ભાઈ, પિતા અને લગ્ન પછી પતિ. પોતાના નિર્ણય લેવાનો પણ તેની પાસે હક નથી હોતો. માટે દીકરીઓને બાળપણથી જ સાચા અને જાતે નિર્ણય લેવાની છૂટ આપવી પણ જરૃરી છે.
સમાજમાં પ્રોફેશનને પણ વહેંચી નાંખવામાં આવ્યંુ છે. એન્જિનિયર એટલે દીકરો, ડૉક્ટર એટલે દીકરી, પિંક કલર દીકરી માટે અને બ્લૂ કલરના રાઇટ્સ દીકરાને, ઢીંગલી દીકરી જ રમે જ્યારે દીકરો બોલ રમે. આવા બધા ભેદભાવના કારણે જ ક્યાંક ને ક્યાંક દીકરો મોટો થયા પછી પણ પોતાને બેસ્ટ અને મહિલાઓને તુચ્છ સમજવાની ભૂલ કરી બેસે છે. જ્યારે પત્ની આવે ત્યારે તેની સાથે પણ એવી જ અપેક્ષા રાખે છે કે દરેક ફરજ તે નિભાવે. માટે જ સંતાનોને બાળપણથી જ સત્ય અને અસત્ય સમજાવવાની સાથે જ દરેક મહિલાને સમાન સમજવાની સમજ આપવી પડશે. ઘણી મહિલાઓ એમ પણ માને છે કે સમાજમાં ઘણા બદલાવ આવ્યા છે અને હાલના સમયમાં પુરુષ પ્રધાન સમાજ ધીમે-ધીમે બદલાઈ રહ્યો છે. હવે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં મહિલાઓને સમાન હક મળતો થયો છે. છતાં પણ જ્યારે ત્યાગ, સમર્પણ અને સેવાની વાત હોય ત્યારે મહિલાઓને જ મોખરે રાખવામાં આવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે મહિલાઓને મોખરે રહેવંુ જ પડે છે.
બસ, આ જ પાતળી લીટીને ભૂંસવા માટે હવે લગ્નજીવનમાં પારસ્પરિક સમજણરુપી આઠમા ફેરાની અવધારણાની જરૃર ઊભી થઇ છે.