ગુજરાત કોંગ્રેસે આજે સવારના 8થી 12 વાગ્યા સુધી આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. ત્યારે ક્યાંક-ક્યાંક બંધની અસર જોવા મળી તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર જોવા મળી રહી છે. તેવામાં હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખને નજરકેદ કરાયા હોવાનું ખૂલ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઇકાલે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. આ તરફ આજે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કરતા નેતાઓને નજરકેદ કરાયા છે. વિગતો મુજબ શાહીબાગ પોલીસ હેડકવાટરમાં તમામ નેતાઓને નજર કેદ રખાયા છે.
વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ:
જીજ્ઞેશ મેવણી અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની મોંઘવારી, બેરોજગારી, કર્મચારીઓ, ડ્રગ્સનો વેપાર, બળાત્કારીઓને જેલમાંથી છોડી દેવા આ તમામ મુદ્દે અમદાવાદ બંધ કરાવવા નીકળતા ધરપકડ કરવામાં આવી.
-સોશિયલ મીડિયા ટીમ#GujaratBandh
આજે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કરતી વખતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખને પણ નજરકેદ કરાયા છે. મહત્વનું છે કે, આજે કોંગ્રેસે પ્રતિકાત્મક બંધનું એલાન આપ્યું હતું.
અમદાવાદમાં પણ સવારથી જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી.બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી.
આજે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન કરવામાં આવતા પાટણના રાધનપુરમાં પણ કોંગ્રેસ દ્વારા બજાર બંધ રાખવાની વેપારીઓને અપીલ કરાઇ હતી. મહિલા સહિતના કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે તમને જણાવી દઇએ કે, પાટણ અને રાધનપુરમાં બંધની અસર જોવા મળી રહી છે. પાટણ અને રાધનપુરમાં મોટા ભાગના બજાર બંધ જોવા મળ્યા.
તો બીજી બાજુ રાજકોટમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે કોંગ્રેસે વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરી હતી. ત્યારે કોંગી નેતા હેમાંગ વસાવડાની અટકાયત કરાઇ હતી. મહત્વનું છે કે, કોંગી નેતાઓએ આજે સવારના 8થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન આપ્યું છે. એ સિવાય આંકલાવ ખાતે પણ બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આંકલાવનું બજાર અને દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે ધીરે-ધીરે આગળ વધી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિએશનને મળીને વિનંતી કરી હતી. ત્યારે આજે રાજ્યમાં ઠેર-ઠેર કોંગી નેતાઓ વેપારીઓને દુકાનો બંધ રાખવાની અપીલ કરી રહ્યાં છે.