ઓક્ટોબર 2020 તમારા માટે અનેક મોટા ફેરફાર લઈને આવશે. બિહારમાં પહેલા ચરણની ચૂંટણીની પ્રક્રિયા પણ ઓક્ટોબરના નોટિફિકેશન સાથે શરૂ થશે. 28 ઓક્ટોબરે પહેલા ચરણનું મતદાન થશે. આ સિવાય પણ ઓક્ટોબરમાં ગેસ સિલિન્ડર, મિઠાઈ વિતરકના નિયમો, લાઈટના નિયમો, નાણાંકીય સુવિધાઓ તથા ટ્રાન્ઝેક્શનને લઈને પણ કેટલાક ફેરફાર આવશે. આ દરેક ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરશે. તો જાણો કયા નિયમોમાં આવશે ફેરફાર.
ઓક્ટોબરમાં આવશે આ મોટા ફેરફાર
બિહારમાં પહેલા ચરણની ચૂંટણી થશે શરૂ
બેંકિંગ, ગેસ, મિઠાઈને લઈને આવશે આ નવા ફેરફાર
ફ્રીમાં નહીં મળે ગેસ સિલિન્ડર
પીએમ ઉજ્જવલા યોજનાના આધારે ફ્રીમાં ગેસ સિલિન્ડર 30 સપ્ટેમ્બર સુધી મળશે. મોદી સરકારે આ યોજનાના આધારે ગરીબોને ફ્રીમાં એલપીજી કનેક્શન આપ્યા હતા. કોરોનાના કારણે ફ્રીમાં ગેસ સિલિન્ડર પણ આપ્યા હતા. આ તારીખને એપ્રિલથી સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી હતી. પરંતુ 1 ઓક્ટોબરથી બિન સબ્સિડી એસપીજી સિલિન્ડર અને કર્મશિયલ ગેસના રેટ પણ રિવાઈઝ થશે. જેનાથી તમારા રોજિંદા ખર્ચ પર અસર થશે.
મિઠાઈ વેચનારા માટે આવશે નવો નિયમ
આગામી 1 ઓક્ટોબર 2020 બાદ સ્થાનિક મિઠાઇની દુકાનોએ પણ પણ મીઠાઇની ઉત્પાદનની તારીખ અને Best Before Date ફરજીયાત લખવી પડશે. નોંધનીય છે કે, FSSAI-Food Safety and Standards Authority of India દ્વારા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. બજારમાં વેચાયેલી ખુલ્લી મીઠાઇના ઉપયોગની સમય મર્યાદા વેપારીઓને આપવામાં આવશે. તેનો ઉપયોગ કેટલો સમય સારો રહેશે, ગ્રાહકોને સમય મર્યાદા આપવી પડશે. ફૂડ રેગ્યુલેટર તેને ફરજિયાત બનાવ્યું છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI-Food Safety and Standards Authority of India) એ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટેના જોખમોને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. વાસી / ખાવાની અવધિ સમાપ્ત થયા પછી પણ મીઠાઇના વેચાણની માહિતી મળ્યા બાદ આ અંગે એક નિદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ઓક્ટોબર 2020થી ઘરે બેઠા મળશે નાણાકીય સુવિધાઓ
બેંક ગ્રાહકોને ઘરે બેઠા ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર પિક કરવાની બિન નાણાંકીય સેવાઓ મળશે. આ સિવાય એફડીના વ્યાજ પર લાગતા ટેક્સથી બચવા માટે જમા કરાતા ફોર્મ 15G અને 15H, ટેક્સ કે જીએસટી ચાલાન પિક કરવાની સાથે એકાઉન્ટ સ્ટેટમેન્ટ રિકવેસ્ટ, ટર્મ ડિપોઝિટ રસીદની ડિલિવરીની સુવિધા પણ ઘરેવબેઠા મળશે. ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસ લોન્ચ કર્યા બાદ નાણાંકીય સુવિધાઓ પણ ઘરે બેઠા મળશે.
મોંઘા થશે ટીવી
ટીવી મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવાતા ઓપન સેલના આયાત પર 1 ઓક્ટોબરથી પાંચ ટકા કસ્ટમ્સ ડ્યુટી ફરીથી લાગૂ કરવામાં આવશે. આ ફી એક વર્ષના ગ્રેસ અવધિ સમાપ્ત થયા પછી ફરીથી વસૂલવામાં આવી રહી છે. ગયા વર્ષે સરકારે સપ્ટેમ્બર સુધી ખુલ્લા વેચાણ પરના ટેલિવિઝનના મહત્વપૂર્ણ ઉપકરણોને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપી હતી. ટેલિવિઝન ઉદ્યોગનું કહેવું છે કે 32 ઇંચના ટેલિવિઝનની કિંમત 600 રૂપિયા વધશે અને 42 ઇંચની કિંમત 1,200 થી વધીને 1,500 થશે. મોટા કદના ટેલિવિઝનનો ભાવ વધશે. નાણાં મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર મોટી બ્રાન્ડ્સના 32 ઇંચના ટીવી માટે રૂ. 2,700 અને 42 ઇંચ માટે રૂ. 4,000 થી 4,500 ની બેઝ પ્રાઈસ પર આયાત કરી રહી છે. જો ઓપન સેલ પર પાંચ ટકા ચાર્જ કરવામાં આવે તો ટેલિવિઝન દીઠ રૂ. 150 થી 250 રૂપિયાથી વધારે નહીં થાય.
આ ટ્રાન્ઝેક્શન પર લાગશે ટેક્સ
કેન્દ્ર સરકારે વિદેશ રૂપિયા મોકલવા માટે ટેક્સ વસૂલવાનો નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ પણ નવા મહિનાથી લાગૂ થશે. તેમાં તમે વિદેશમાં બાળકોને ભણવા માટે રૂપિયા મોકલો છો કે કોઈ સંબંધીની મદદ કરો છો તો તેની પર 5 ટકા ટેક્સ કલેક્ટ કરાશે. આરબીઆઈની લિબરલાઈઝ્ડ રિમેટેંસ સ્કીમના આધારે વિદેશ રૂપિયા મોકલનારા વ્યક્તિએ ટીસીએસ આપવાનો રહેશે. નવા નિયમ અનુસાર વ્યક્તિ વાર્ષિક 2.5 લાખ ડોલર મોકલી શકે છે, તેની પર કોઈ ટેક્સ લાગતો નથી. તેને ટેક્સમાં લાવવા માટે ટીસીએસ આપવાનો રહેશે.