સામાન્ય દિવસોમાં ટીવી ચેનલ અને સોશિયલ મીડિયામાં, નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરનારા કોંગ્રેસનાં ટોચનાં નેતાઓને, જ્યારે સ્ટાર પ્રચારક તરીકે મોકો મળ્યો તો તેઓ પાણીમાં બેસી ગયાં. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયાર કરેલાં 40 સ્ટાર પ્રચારકોમાંથી અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે ડોકાયાં જ નહીં. આમ કરીને તેમણે નરેન્દ્ર મોદીને તેમનાં હોમ રાજ્યમાં જ ઘેરવાની તક ગુમાવી દીધી છે.
વર્ષ 2001થી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો ગુજરાતથી ઉદય થયો અને વર્ષ 2014માં તેઓ દેશનાં વડાપ્રધાન બન્યાં. ગત લોકસભા ચૂંટણીમાં તેઓ ગુજરાતની 26 લોકસભા બેઠકો જીત્યાં હતાં. ત્યારે ફરી એક વાર કોંગ્રેસ પાસે વર્ષ 2019ની લોકસભાનાં ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહને ગુજરાતમાં જ ઘેરવાનો મોકો હતો, પરંતુ કોંગ્રેસે આ તક ગુમાવી દીધી છે.
લોકસભા 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર માટે કોંગ્રેસે 40 સ્ટારપ્રચારકોની યાદી બનાવી હતી. જો કે તે યાદી માત્ર કાગળ પર જ રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમકે રાહુલ ગાંઘી, અહેમદ પટેલ, નવજોત સિદ્ધુ, અશોક ગેહલોત, શત્રુધ્ન સિન્હા અને ગુજરાતનાં સ્થાનિક નેતાઓને બાદ કરતાં કોંગ્રેસનાં એક પણ કેન્દ્રીય નેતા મોદી વિરુદ્ધ પ્રચાર કરવા કે ભાજપાને ઘેરવા ગુજરાતમાં ડોકાયાં નહીં. જે અંગે કોંગ્રેસનાં પ્રવક્તાએ પણ ખુલાસો આપ્યો.
સ્ટાર પ્રચારકની યાદીમાં હોવા છતાં ગુજરાત ન આવેલા નેતાઓ પર નજર કરીએ તો સોનિયા ગાંધી, ડૉ. મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી, ગુલાબનબી આઝાદ, કે.સી. વેણુ ગોપાલ, મુકુલ વાસનિક, કમલનાથ, ભુપેશ બધેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખડગે, આરપીએન સિંધ, કાન્તીલાલ ભુરીયા, દિપેદ્ર હુડ્ડા, રણદિપ સુરજેવાલ, કુમારી શૈલઝા, નગમા મોરાજી, ઉર્મિલા માંતોડકર, મધુસૂદન મિસ્ત્રી જેવાં દિગ્ગજ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં નજરે પડ્યાં ન હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં જે નેતાઓ સ્ટાર પ્રચારક હતાં તે પણ ઘણાં ઉમેદવારોની માંગણી હોવા છતાં પ્રચાર કરવા માટે ગયા ન હતાં. કેન્દ્રીય મુદ્દાઓ અંગે ગુજરાતમાં પ્રચાર થઇ શકે એમ હોવા છતાં પણ આ તક કોંગ્રેસ ચૂકી હોવાનું લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સોશિયલ મીડિયાનો વ્યાપ હોવાનું કહીને બચાવ કરી રહ્યો છે.
ગુજરાતની 26 લોકસભાની બેઠકો પૈકી ભાજપા કરતાં એક બેઠક વધારે જીતવાનો કોંગ્રેસ દાવે કરી રહી છે પણ તેનાં કેન્દ્રીય નેતાઓ કેન્દ્રીય મુદ્દાને લઇને ગુજરાતમાં પ્રચાર માટે આવ્યાં નથી, જયારે છેલ્લાં ત્રણ દિવસમાં પણ મોટા નેતાઓની કોઈ સભાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે તેની અસર પરિણામ પર પડશે કે કેમ તે તો પરિણામ બાદ ખબર પડશે. પરંતુ કોંગ્રેસ એક તક ચૂકી ગઈ છે તે વાત ચોક્કસ છે.