ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની વોટ બેન્ક ગણાતી પાટીદાર કોમ કઈ તરફ તેની અટકળો અત્યારથી જ થઈ રહી છે.
મનસુખ માંડવિયાનું પાટીદારો અંગે નિવેદન
નરેશ પટેલનો ડિપ્લોમેટીક જવાબ
"માંડવિયાનું નિવેદન વ્યકિતગત હોઈ શકે"
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સક્રીય થઈ છે..કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા. જ્યાં તેમણે વજુભાઈ વાળા બાદ પાટીદારો સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. માંડવિયા સાથેની બેઠકમાં લેઉવા અને કડવા પાટીદાર એકસાથે હોવાથી રાજકીય દ્રષ્ટીકોણની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ હાજર રહ્યાં હતા. જેમાં તેમને પાટીદાર સમાજ વિશે મહત્વનું નિવેદન કર્યું હતું.
પાટીદાર એટલે ભાજપ જ : મનસુખ માંડવિયા
ભાજપનો પ્રયાસ છે કે ચૂંટણી પહેલા પાટીદારોની નારાજગી દૂર કરવામાં આવે, આટલું જ નહીં પાટીદારોના આંતરિક પ્રશ્નો મામલે પણ ભાજપે રસ દાખવ્યો છે... માંડવિયાએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે પાટીદાર એટલે ભાજપ જ છે, સાથે જ તેમને કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે. આપને જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા જ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી ચુકી છે... બીજી તરફ આ તકનો રાજકીય રીતે લાભ લેવાના પ્રયાસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ લાગી ગઈ છે.
મનસુખ માંડવિયાનું અંગત નિવેદન : નરેશ પટેલ
મનસુખ માંડવિયાએ પાટીદારો સાથેની બેઠકમાં પાટીદાર એટલે ભાજપ હોવાનો મત રજૂ કર્યો હતો. આ મામલે પત્રકારોએ નરેશ પટેલને સવાલ કરતા તેમણે જણાવ્યું કે પાટીદાર એટલે ભાજપ એ મનસુખ માંડવિયાનો અંગત નિવેદન હોઈ શકે. આમ, નરેશ પટેલે માંડવિયાના નિવેદનને સમર્થન ન આપ્યું. અને તેમણે કહ્યું કે પાટીદાર સમાજના કેટલાક લોકો કોંગ્રેસ અને AAPમાં પણ છે. જો કે તેમણે કેન્દ્રીય કેબિનેટમાં આરોગ્ય મંત્રી તરીકે માંડવિયાને સ્થાન મળવા બાબતે ખુશી પણ વ્યક્ત કરી હતી.