કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, હર ધર દસ્તક 2.0. ની અસરકારક અમલવારી, ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અને મોતીયા નિવારણ ઝુંબેશ સંલગ્ન વિગતવાર ચર્ચા કરીને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો
દેશમાં વધી રહેલા કોરોના કેસોને લઈ હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે દેશના તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્યલક્ષી ચર્ચા કરી હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબેન સુથાર ગાંધીનગર ખાતેથી જોડાયા હતા. જેમાં ખાસ કરીને પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતને ધ્યાને લઇ કોવિડ ગાઇડલાઇન અને કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરાવવા અને ટેસ્ટીંગ અને ટ્રેસીંગ (3T) પર ધ્યાનકેન્દ્રીત કરવા સૂચના આપી હતી.
આજે યોજાયેલી કોન્ફરન્સમાં હર ધર દસ્તક 2.0. અંતર્ગત કોરોના રસીકરણની મહાઝુંબેશ શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે વર્ષ 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી. નાબૂદ કરવાના પરિણાસ્વરૂપ તાલુકા સ્તરે જનપ્રતિનિધીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટી.બી.ગ્રસ્ત દર્દીઓને દત્તક લઇ નિયમિત સારવાર ઉપલ્બધ કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તો સાથે સાથે મોતીયાના ઓપરેશનની પેન્ડેન્સી ઘટાડવા ખાસ ઝુંબેશનું આયોજન હાથ ધરવ પણ જણાવાયું છે.
શું કહ્યું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ?
ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ વીડિયો કોન્ફરન્સમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, 1 જૂનથી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના વેક્સિનેસન માટેના હર ધર દસ્તક 2.0. કાર્યક્રમની અસરકારક અમલવારી, ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અને મોતીયાનિવારણ કાર્યક્રમ સંલગ્ન વિગતવાર ચર્ચા કરીને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં તેની ચિંતા કરીને સંતર્કતા રાખવામાં આવે તે મુદ્દે વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા થઇ હતી. જેના સંદર્ભ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ,ટ્રીટમેન્ટ સાથે કોરોના રસીકરણને અસરકાર બનાવવા અને નાગરિકો કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરવામાં આવ્યુ હતુ.
જીનોમ સિકવન્સીંગ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા સૂચન
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માડંવિયા દ્વારા તમામ રાજ્યોને જીનોમ સિકવન્સીંગ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં કહેવામાં આવ્યું હતુ. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વર્ષ 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી.ને જળમૂળથી નાબૂદી માટે નિર્ધાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વધુમાં ટી.બી.ગ્રસ્ત દર્દીઓના ખાતામાં ડી.બી.ટી. મારફતે 500 રૂપિયા જમાં કરાવવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
મંત્રી મનસુખભાઇ માંડવિયાએ મોતીયાના સંદર્ભમાં જણાવ્યું કે, કોરોનાકાળના કારણે દેશમાં અંદાજીત 1 કરોડ મોતીયાની સર્જરીનું ભારણ પેન્ડેન્સી વધી છે. જેને દૂર કરવા માટે દરેક રાજ્યે મોતીયાનાબૂદી અભિયાન શરૂ કરીને વધુમા વધું સર્જરી કરવા મંત્રીએ જણાવ્યું હતુ. આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ નોજ અગ્રવાલ, આરોગ્ય કમિશ્નર શાહમિના હુસેન, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર નયન જાની, નિલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.