આજે ગુજરાતમાં સવારથી જ એક મેસેજ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં ગુજરાતમાં નેતૃત્વ બદલાઈ રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું. આવામાં મેસેજ વાયુવેગે પ્રસરી જતાં આખરે મનસુખ માંડવિયાએ આ મામલે ટ્વિટ કરીને અફવાનું ખંડન કર્યુ હતું.
કેન્દ્રીય કેબીનેટ મંત્રી (શીપીંગ) મનસુખ માંડવિયાએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં મક્કમતાપૂર્વક કામ થઈ રહ્યું છે. તમામ ચાલતી વાતો અફવા છે.
આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.
— Mansukh Mandaviya (@mansukhmandviya) May 7, 2020
મહત્વનું છે કે મનસુખભાઈ માંડવીયાએ સ્પષ્ટ કહેલ કે વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત કોરોના વાયરસથી સર્જાયેલ પરિસ્થિતિને બખૂબી સારી રીતે હેન્ડલ કરી રહેલ છે. આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર ત્યારે પડી કે આજ સવારથી સમગ્ર ગુજરાતમાં આ સમાચારે હવા પકડી હતી. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યું છે અને વિજય રૂપાણીની જગ્યાએ મનસુખ માંડવિયાને CM બનાવી શકાય છે. આવામાં ખુદ મનસુખ માંડવિયાએ આ બાબતે સ્પષ્ટતા કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના સંકટમાં ગુજરાતમાં દિવસેને દિવસે આંકડાઓ વધતા જઈ રહ્યાં છે જેમાં ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિ કાબૂની બહાર જતી દેખાઈ રહી છે. આવામાં કેન્દ્ર સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો છે અને કામગીરી કરી રહેલા અધિકારીઓ પર સિનિયર અધિકારીઓને બેસા઼ડ્યાં છે. વિજય નેહરા અને જ્યંતિ રવિને સાઈડલાઈન કરાયા બાદ બની શકે કે એટલે જ CM રૂપાણીની જગ્યાએ મનસુખ માંડવિયાને મુખ્યમંત્રી પદ સોંપાય તેવી અફવાઓએ વધુ જોર પકડ્યું હોય. આવામાં સવારથી જ સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ ગ્રુપમાં આ પ્રકારના મેસેજ ફરતા થયા હતાં. જેના પર આખરે પૂર્ણવિરામ મૂકાયું છે.
મનસુખ માંડવિયાએ લોકોને અફવાથી બચવા કરી અપીલ
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ આ અફવાના ખંડન સાથે લોકોને અફવાથી બચવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે "આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે."