રાજકોટમાં મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરતા કહ્યું પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે
મનસુખ માંડવિયાની સૌરાષ્ટ્ર મુલાકાતે
લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક
પાટીદારોની નારાજગી દૂર કરવાના પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે, તૈયારીઓના ભાગ રૂપે ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા પાંચ કેન્દ્રિય મંત્રીઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જન સંપર્ક યાત્રા યોજી સરકારના કાર્યને પ્રજા સમક્ષ લઈ જવાની તેમજ સરકારની સારી છાપ ઉભી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ ભાજપના કેન્દ્રિય મંત્રીઓ દ્વારા યોત્રાનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે આવ્યા છે.
પાટીદારોની નારાજગી દૂર કરવાના પ્રયાસ
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના કેન્દ્રિયમંત્રીઓ દ્વારા જનસંપર્ક યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આરોગ્ય મંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાજ મુલાકાત છે, ત્યારે તેમના સ્વાગતમાં અનેક ભાજપ કાર્યકરો ઉમટ્યા હતા અને તેમનું ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક
મહત્વનું છે કે આવનાર વિધાનસભામાં પાટીદાર ફેક્ટર મહત્વનું માનવામાં આવે છે ત્યારે મનસુખ માંડવિયાએ રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો સાથે બેઠક યોજી તેમની સાથે ચર્ચાઓ કરી હતી. તેમને પાટીદાર સમાજના બંને જૂથને એક સાથે રાખીને બેઠક કરતા અનેક રાજકીય વર્તૂળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે આ બેઠકમાં પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પાટીદારો સાથેની આ બેઠક બાદ સરકાર દ્વારા પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણકારો બતાવી રહ્યા છે.
રાજકોટ બાદ મનસુખ માંડવિયા જૂનાગઢ જશે
રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. આજે ગોંડલ, વીરપુર, ખોડલધામ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ. બીજા દિવસે જૂનાગઢ પત્રકાર પરિષદ યોજ્યા બાદ વિસાવદર, ધારી, ચલાલા, પાલીતાણા જશે. તેમજ શનિવારે પાલીતાણા વેક્સિન સેન્ટરની મુલાકાત લીધા બાદ સોનગઢ, બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર જશે.
જયારે અન્ય કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ગુરુવારે ઉંઝા મંદિરે દર્શન કરી વિસનગર, મહેસાણા, મોરબી જશે. બીજા દિવસે ટંકારા, શાપર – વેરાવળ અને સરધારમાં સાંજે 6 વાગ્યે ગ્રામ પંચાયતના મેદાનમાં સભા સંબોધશે. ત્રીજા દિવસે સરધારમાં પત્રકાર પરિષદ બાદ આટકોટ, જસદણ, બાબરા, અમરેલી જશે.