પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પાસેથી SPG સુરક્ષા પરત લઇ લેવામાં આવી છે. તેઓ હવે SPG સુરક્ષા હેઠળ નહીં પરંતુ Z+ સુરક્ષામાં રહેશે. ગૃહમંત્રાલયે નિવેદન રજૂ કરીને જણાવ્યું કે, આ નિર્ણય સુરક્ષા એજન્સીઓને આપેલા ઇનપુટને આધારે લેવામાં આવ્યો છે. હવે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ SPG સુરક્ષા મળશે.
દેશમાં SPG સુરક્ષા માત્ર કેટલાક લોકોને આપવામાં આવે છે. SPGમાં સર્વશ્રેષ્ઠ સુરક્ષાબળ સામેલ થાય છે જે દેશના સૌથી સંરક્ષિત રાજનેતાઓની સુરક્ષામાં તૈનાત હોય છે. મહત્વનું છે કે સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, મનમોહન સિંહનાં જીવને ઓછું જોખમ છે. ત્યાર બાદ તેમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો અને એમની પાસેથી SPG સુરક્ષા પરત લઇ લેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલાં પણ સરકારે કેટલાંક સાંસદોની સુરક્ષામાં પણ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાર બાદ 1300થી પણ વધુ કમાન્ડોને આ પ્રકારની ડ્યૂટીમાંથી મુક્ત કરાયા હતાં.
ગૃહ મંત્રાલયે આ પહેલાં લાલુપ્રસાદ યાદવ, બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યુપી બીજેપીનાં નેતા સંગીત સોમ, ભાજપનાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, યુપી સરકારનાં મંત્રી સુરેશ રાણા અને એલજેપી સાંસદ ચિરાગ પાસવાન તેમજ પૂર્વ સાંસદ પપ્પુ યાદવ સહિત અનેક મોટા મોટા નેતાઓ પાસેની સુરક્ષા કવરની સમીક્ષા કરી તેમની સિક્યોરિટી ઘટાડી દેવામાં આવી હતી.
ભારતમાં સુરક્ષાની શ્રેણી ખતરાનાં સ્તર સાથે એક સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય ઇંટેલીજેંસ બ્યૂરો (આઇબી)ની ભલામણ પર દર વર્ષે વિશિષ્ટ લોકોની સુરક્ષાની સમીક્ષા કરે છે. ખતરાનાં સ્તરને જોતા વિશિષ્ટ અને અતિ વિશિષ્ટ લોકોને વિભિન્ન સ્તરની સુરક્ષા આપવામાં આવે છે.
SPG સુરક્ષા (Special Protection Group)
પ્રધાનમંત્રી મોદી અને ગાંધી પરિવારને SPG સુરક્ષા ઉપલબ્ધ છે. આ સુરક્ષાનું સૌથી હાઈએસ્ટ લેવલ છે. જેમાં તૈનાત કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયાર અને કમ્યુનિકેશન્સ ઉપકરણો હોય છે. પહેલા આ સુરક્ષા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને પણ મળી હતી પરંતુ IB (Inteligence Bureau) રિપોર્ટની સમીક્ષા બાદ તેમને જીવને ઓછું જોખમ હોવાંને કારણે તેમની પાસેથી એસપીજી સુરક્ષા પરત લઇ લેવામાં આવી છે.
Z+ શ્રેણીની સુરક્ષા
SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ની સુરક્ષા બાદ Z+ ભારતની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણી છે. આ શ્રેણીમાં સંબંધિત વિશિષ્ટ વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો લાગેલા હોય છે. એમાં 10થી વધારે એનએસજી કમાન્ડોની સાથે દિલ્હી પોલીસ, ITBP અથવા CRPFના કમાન્ડો અને રાજ્યના પોલીસકર્મી સામેલ હોય છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટ અને સશસ્ત્ર યુદ્ધ કરવાની કળામાં માહેર હોય છે. સુરક્ષામાં લાગેલા એનએસજી કમાન્ડોની પાસે એમપી 5 મશીનગનની સાથે આધુનિક સંચાર ઉપકરણ પણ હોય છે. આ ઉપરાંત એમના કાફલામાં એક જામર ગાડી પણ હોય છે જે મોબાઇલ સિગ્નલ જામ કરવાનું કામ કરે છે. દેશમાં પસંદગીનાં લોકોને જ આ Z+ ની સુરક્ષા પ્રાપ્ત છે.
Z શ્રેણીની સુરક્ષા
Z શ્રેણીની સુરક્ષામાં 4થી 5 એનએસજી કમાન્ડો સહિત કુલ 22 સુરક્ષાગાર્ડ તૈનાત હોય છે. જેમાં દિલ્હી પોલીસ, આઇટીબીપી અથવા સીઆરપીએફનાં કમાન્ડો અને સ્થાનીય પોલીસકર્મી પણ શામેલ હોય છે.
Y શ્રેણીની સુરક્ષા
આ સુરક્ષાનો ત્રીજો સ્તર છે. ઓછો ખતરો ધરાવનારા લોકોને આ સુરક્ષા આપવામાં આવે છે. જેમાં કુલ 11 સુરક્ષાકર્મીઓ શામેલ હોય છે. જેમાં બે પીએસઓ (ખાનગી સુરક્ષાગાર્ડ) પણ હોય છે. આ શ્રેણીમાં કોઇ કમાન્ડો તૈનાત નથી હોતાં. દેશમાં સૌથી વધારે લોકોને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે.
X શ્રેણીની સુરક્ષા
આ શ્રેણીમાં બે સુરક્ષા જવાન તૈનાત હોય છે. જેમાં એક પીએસઓ (વ્યક્તિગત સુરક્ષા અધિકારી) હોય છે. દેશમાં વધારે લોકોને આ X શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ હોય છે.