સતત 10 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહેલા મનમોહનસિંહને રાજ્યસભાથી બહાર રહેવું પડી શકે છે. ઉપલા ગ્રહમાં તેમનું સભ્યપદ જૂનમાં સમાપ્ત થઇ રહ્યું છે. મનમોહનસિંહનો 6 વર્ષનો કાર્યકાળ 14 જૂનના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ પાંચ વખતથી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે.
ચૂંટણીપંચે આસામથી રાજ્યસભાની 2 બેઠક ભરવા 7 જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. 1 બેઠકનું પ્રતિનિધિત્વ મનમોહનસિંહ કરી રહ્યાં છે. જ્યારે બીજી બેઠકનું પ્રતિનિધિત્વ એસ કુજૂર કરી રહ્યાં છે. કુજૂર કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય છે. પરંતુ હવે આસામમાં ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ પાસે એટલી સંખ્યા નથી કે, તેઓ ફરીથી મનમોહનસિંહને રાજ્યસભામાં મોકલી શકે. આ અટકળો વચ્ચે ભાજપ ખાલી થતી બેઠકમાંથી એક બેઠક કેન્દ્રીય મંત્રી અને એલજેપીના નેતા રામવિલાસ પાસવાનને આપી શકે છે. પાસવાન પણ આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યાં નથી.
સૂત્રોનું કહેવું છે કે, જો પાર્ટી મનમોહનસિંહને વધુ એક કાર્યકાળ આપવાનો નિર્ણય કરશે તો તેમને રાજ્યસભાના કેટલાક સભ્યોની સામાન્ય ચૂંટણઓમાં જીત પછી ખાલી જગ્યાઓમાંથી એક આપશે. જુલાઇમાં રાજ્યસભાની 6 બેઠક તમિલનાડુથી ખાલી થઇ રહી છે. જો પાર્ટી ઇચ્છે તો ડીએમકે ત્યાંથી મનમોહનસિંહને એક બેઠક આપી શકે છે. જો આમ ન થાય તો મનમોહનસિંહે એપ્રિલ 2020 સુધી રાહ જોવી પડી શકે છે.
દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં 55 બેઠકો ખાલી થશે. તેમાંથી કેટલીક બેઠકો કોંગ્રેસને મળી શકે છે. બંને ખાલી જગ્યા ભરવા માટે પંચે 7 જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. તેના માટે 21 મેના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મતગણતરી તે દિવસે કરાશે.