ગુજરાત સરકારે ભગવદ્ ગીતાને શૈક્ષણિક વર્ષ 2022-23થી સમગ્ર રાજ્યમાં 6થી 12માં ધોરણ સુધી શાળાના અભ્યાસક્રમોમાં સામેલ કરવાની ગુરૂવારે(17 માર્ચ 2022) વિધાનસભામાં જાહેરાત કરી હતી. આ નિર્ણયના 24 કલાકમાં જ સરકાર સામે મહાભારત શરૂ થઇ ગયું. દિલ્હીના DyCMએ નિવેદન કરીને રાજનીતિ શરૂ કરી. ભારતીય સંસ્કૃતિથી વિદ્યાર્થી પરિચિત થાય એવા પ્રયત્નના ભાગ રૂપે સરકારે આ નિર્ણય કર્યો છે. બાળકના વિકાસના હેતુથી ગીતાનો અભ્યાસ કરાવવાનું સરકારે મન બનાવ્યું છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત પર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ રાવણ જેવુ કામ કરે છે અને અભ્યાસક્રમમાં ગીતા ભણાવે છે. તેમને કહ્યું હતું કે, આ નિર્ણય જેને લીધો છે તેઓએ પણ ગીતાના શ્લોકોને પોતાના જીવનમાં ઉતારવા જોઈયે.
વિરોધ કરનાર લોકો દુર્યોધન વૃત્તિવાળાઃ ચૈતન્ય શંભુ મહારાજ
ત્યારે ભાજપનાં નેતા ચૈતન્ય શંભુ મહારાજે પ્રતિક્રિયા આપી છે. ચૈતન્ય શંભુએ કહ્યું કે, આવા નિવેદન કરનાર લોકો દુર્યોધનવૃત્તિ વાળા છે. વિરોધ કરનાર લોકો દુર્યોધન વૃત્તિવાળા છે. શિષ્ટાચારની ભાષામાં વિરોધ કરવો જોઈએ. દેશની અને ગુજરાતની પ્રજાએ અમારો નિર્ણય સ્વીકાર્યો છે.
મનીષ સિસોદિયાને ગીતાનું મહત્વ ખબર નથીઃ જગદીશ પંચાલ
દિલ્હીના ઉપમુખ્યમંત્રીના નિવેદન પર મંત્રી જગદીશ પંચાલે પલટવાર કરતા કહ્યું કે, મનીષ સિસોદિયાને ગીતાનું મહત્વ ખબર નથી. હિન્દૂ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક ગીતા છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે ગીતા સાથે લઈને ગયા હતા. દેશની બહુમત જનતા કહી રહી છે કે અમે ભાજપ સાથે છીએ. ગુજરાતની જનતા 2022માં સિસોદિયાને જવાબ આપશે.
ગુજરાત સરકારની જાહેરાત શું?
પવિત્ર શ્રીમદ્ ભગવદ ગીતાના સિદ્ધાંતો ભણાવવામાં આવશે: જીતુ વાઘાણી
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભગવદ્ ગીતાના નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કેન્દ્રની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રસ્તે લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આધુનિક અને પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ અને જ્ઞાન પ્રણાલીઓને સામેલ કરવાની હિમાયત કરે છે, જેથી વિદ્યાર્થી ભારતની સમૃદ્ધ અને વિવિધ સંસ્કૃતિ પર ગર્વ અનુભવી શકે. ભારતીય સંસ્કૃતિથી વિદ્યાર્થી પરિચિત થાય એવા પ્રયત્ન છે.
વાઘાણીએ કહ્યું હતું કે, તમામ ધર્મના લોકોએ આ પ્રાચીન હિન્દુ ગ્રંથના નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો છે. ગ્રંથના આધારે શાળાની પ્રાર્થના, શ્લોકના પાઠ, ગદ્ય, નાટક, ક્વિજ, પેન્ટિંગ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવશે. ઘોરણ 6થી 8માં પરિચય અને સર્વાગી વિકાસનો અભ્યાસ થશે. ઘોરણ 9થી 12માં વાર્તા અને પઠનના સ્વરૂપમાં અભ્યાસ કરાવાશે. બાલ્ય અવસ્થાથી જ ભગવદ ગીતા અભ્યાસથી બાળકનો વિકાસનો હેતુ છે.