સામાન્ય રીતે અડધી રાતે બાર વાગ્યે કોઇ અમદાવાદીને ગુજરાતી ફરસાણથી લઇને પાઉંભાજી, ઇટાલિયન પિત્ઝાથી લઇને આઇસક્રીમ સુધીની ખાણીપીણીની જૂનીથી લઇને નવી ફલેવર માણવાનું મન થાય તે વખતે તેના દિલ અને દિમાગમાં પહેલું નામ માણેકચોક ખાણીપીણી બજારનું આવે છે.
17 વર્ષ બાદ પ્રથમ વખત રસ્તા સહિતનાં કામ માટે પાંચ દિવસ બંધ રહેશે
રૂ.2.5 કરોડના ખર્ચે નવા રોડ આકાર પામશે
રાતે જીવંત થતું ઐતિહાસિક બજાર 2002નાં તોફાનો વખતે થોડા દિવસ બંધ રહ્યું હતું
ભદ્ર પાસેનું આ બજાર સવારે શાકમાર્કેટ, બપોરે સોના-ચાંદી બજાર અને રાતે ખાણીપીણી બજારમાં ફેરવાઇ જાય છે. અમદાવાદની એક ઐતિહાસિક વિરાસત બનેલું આ ખાણીપીણી બજાર રાત્રે 17 વર્ષ બાદ રસ્તાના રિપેરિંગ માટે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે બંધ રહેશે. જોકે દિવસનો ધમધમાટ યથાવત રહેશે.
સંત માણેકનાથ બાવાના નામથી જાણીતું છે માણેક ચોક
અમદાવાદની સ્થાપના કરનાર અહેમદશાહ બાદશાહને પરચો બતાવનાર સંત માણેકનાથ બાવાના નામથી જાણીતું થયેલું માણેકચોક બજાર સતત ધમધમતું રહે છે. માણેકચોક બજારમાં સોના-ચાંદીની 75 થી 100 દુકાન ઉપરાંત વ્યક્તિનાં જન્મ સમયના જિયાણાંથી લઇને લગ્ન સહિતના તમામ સંસ્કારને લગતી ચીજવસ્તુઓ મળી રહે છે.
છેલ્લે 2002ની ઘટના વખતે થયું હતું બંધ
રાજ્યભરમાંથી અનેક ખાવાપીવાના રસિયા માણેકચોક ખાણીપીણી બજારની અચૂક મુલાકાત લેતા હોય છે. છેક વર્ષ ર૦૦રના રાજ્યવ્યાપી તોફાનો દરમ્યાન આ ખાણીપીણી બજારમાં કરફયુના કારણે શાંતિ છવાઇ હતી. પરંતુ હવે 17 વર્ષે ખાણીપીણી બજાર તેના બિસ્માર રસ્તાના રિપેરિંગ માટે આગામી સોમવારથી બંધ રહેશે.
ખાડિયાના સિનિયર કોર્પોરેટર મયૂર દવે કહે છે, કાંકરિયા કાર્નિવલ વખતે મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ તેમજ ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવોએ ખાણીપીણી બજારની જયાફત માણવા મુલાકાત લીધી હતી. પરંતુ ખરાબ રસ્તાથી તેમના વાહનો ઢાલગરવાડ પાસે પાર્ક કરી ચાલતા આવવું પડ્યું હતું. તે વખતે મેં આ મહાનુભાવો સમક્ષ ખરાબ રસ્તા અંગે રજૂઆત કરી હતી. રથયાત્રા રૂટના પણ આ રસ્તો હોઇ તેનું રિપેરિંગ કામ અનિવાર્ય છે. મેયર બીજલબહેને મારી રજૂઆતને ગંભીરતાથી લઇ બીજા દિવસે મને તેમની ઓફિસમાં બોલાવી સ્પેશિયલ બજેટમાંથી તત્કાળ રસ્તાનું રિપેરિંગ કરવાનો પત્ર આપ્યો હતો. આશરે રૂ.2.5 કરોડના ખર્ચે રસ્તાનું રિપેરિંગ કરી તેને ચકાચક કરાશે.
નવા રોડ બન્યા બાદ ફરી ધમધમશે ખાણીપીણી બજાર
જાણકાર સૂત્રો કહે છે, શેરબજારથી ઢાલગરવાડનો રસ્તો, માણેકચોક બેન્ક ઓફ બરોડાથી માણેકનાથ મંદિર સુધીનો રસ્તો, ચાંલ્લાઓળ વિસ્તાર એમ તિલકમેદાન તરીકે ઓળખાતા સમગ્ર વિસ્તારના રસ્તાને સોમવારે રાતથી રિપેરિંગ માટે હાથ પર લેવાશે. આ રિપેરિંગ કામ શુક્રવારની રાત સુધી ચાલશે એટલે આવતા શનિ-રવીની વીકએન્ડની રજામાં ખાણીપીણીના રસિયા માટે માણેકચોક ખાણીપીણી બજાર પુનઃ ધમધમશે તેવી શક્યતા છે.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે કરી જાહેરાત
દરમ્યાન મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સૌરભ પટેલ કહે છે, માણેકચોક વિસ્તારના ખરાબ રસ્તાને રિપેર કરવાની કામગીરી સોમવારે સાંજથી શરૂ કરાશે અને આ માટે ચાર પાંચ દિવસ સુધી ખાણીપીણી બજાર બંધ રહેશે.