ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો વધ્યો છે ત્યારે દ્વારકામાં ધાર્મિક અને ફરવા લાયક સ્થળોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દ્વારકાનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ
કચ્છનો માંડવી બીચ બંધ
મીરા ગાર્ડન દ્વારકા અને શિવરાજપુર બીચ પણ બંધ
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને સ્મશાનોમાં લાંબી લાંબી લાઈનો છે ત્યારે હવે દ્વારકા કચ્છમાં ફરવા લાયક સ્થળોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દ્વારકાનું સુપ્રસિદ્ધ જગતમંદિર 30 એપ્રિલ સુધી બંધ
દ્વારકાનું જગપ્રસિદ્ધ જગતમંદિર દ્વારકાધીશ મંદિરને 30 એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી મંદિર બંધ રહેશે. આ સાથે જ નાગેશ્વર જ્યોર્તિલિંગ,ગોમતીઘાટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીરા ગાર્ડન દ્વારકા અને શિવરાજપુર બીચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી સૂચના સુધી તમામ ધાર્મિક-ફરવા લાયક સ્થળો બંધ રાખવામાં આવશે.
આગામી નિર્દેશ સુધી કચ્છનો માંડવી બીચ બંધ
ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો માંડવી બીચ આવતા હોય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા કચ્છનો માંડવી બીચ બંધ કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી આ બીચ પર લોકો મુલાકાત લઈ શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1504 કેસ જ્યારે સુરત શહેરમાં 1087 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 361 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 277 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.