ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત વેક્સિન લેવાની સમય મર્યાદા પૂર્ણ, રસી ન લીધી હોય તેવા વેપારી દુકાન ખોલી શકશે નહીં, વેપારીઓ દ્વારા સમય મર્યાદા લંબાવવા માટે કરાઈ માગણી
વેપારીઓને રસી લેવાની સમય મર્યાદા પુરૂ
રસી ન લીધી હોય તેવા વેપારી દુકાન નહી ખોલી શકે
વેપારીઓ દ્વારા સમય મર્યાદા લંબાવવા માટે માગ
ગુજરાતમાં વેપારીઓને ફરજિયાત વેક્સિન લેવાના નિયમની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં પહેલા 31 જૂલાઈ સુધી વેપારીઓ દ્વારા વેક્સિન લઈ લેવી ફરજિયાત હતી. જે બાદ 15 ઓગસ્ટ સુધીનો સમય રાખ્યો હતો. જે તારીખ પણ જતી રહી છે. ત્યારે ફરી વેપારીઓ દ્વારા વેક્સિન લેવાની સમયમર્યાદા વધારવા માગણી કરી છે. કારણ કે, ગુજરાતમાં એક અંદાજા પ્રમાણે 30 ટકા વેપારીઓ દ્વારા વેક્સિન લેવાઈ નથી. આટલી મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વેક્સિન ન લેવાઈ હોવાથી તેમની મુશ્કેલી વધશે.
તો બીજી તરફ અધિકારીઓ ચેકિંગમાં નીકળશે. અને જો વેપારીઓ પાસે વેક્સિનેશનનું સર્ટિફિકેટ હશે નહીં તો, તેમને વેપાર-ધંધો કરવામાં અડચણ આવી શકે છે. અને દુકાન બંધ પણ કરાવી શકે છે. તો બીજી તરફ વેક્સિનની લાઈન અને મર્યાદિત સ્ટોકના કારણે આટલી કડકાઈ સામે પણ સવાલ છે.
ગુજરાતમાં હવે 16 ઓગસ્ટ સોમવારથી જે વેપારીઓએ વેક્સિન લીધી હશે તેજ વેપારીઓ દંધો કરી શકશે. જે વેપારીઓએ વેક્સિન નહી લીધી હોય તે વેપારીઓને પોલીસ ધંધો નહી કરવા દે. સરકારના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકારને નિર્ણયને લઈને ઘણા વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીના વેક્સિનેશનનો આંકડો
ગુજરાતમાં કોરોનાની વેક્સિનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના રસીકરણને લઈ ગુજરાતે વધુ એક સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તો 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ અપાયો છે.