માણાવદર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી જીજરી ગામના સંપર્ક વિહોણું બન્યું હતું.
માણાવદર તાલુકાના જીજરી ગામે ધોધમાર વરસાદ
બારે મેઘ ખાંગા થતા ગામમાં વરસાદી પાણી ભરાયા
ગામની ચારે બાજુ પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા
હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘાવી માહોલ વચ્ચે અનરાધાર વરસાદ તૂટી પડતાં નદી, નાળાઓમાં ઘોડાપૂરા ઉમટ્યા હતા અને ચારે બાજુ પાણી... પાણીના દ્રશ્યો સર્જાયા હતા. મેઘરાજાની સટાસટી અને ધુઆધાર બેટિંગને પગલે જીજરી ગામ બેટમાં ફેરવાયુ હતું. બારે મેઘ ખાંગા થતા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ધૂંધવી નદી અને ખરાનું પાણી ગામમાં ફરી વળ્યું
માણાવદર પંથકમાં થયેલ મુશળધાર મેઘમહેર અમુક ગામોમાં મેઘકહેર સમાન સાબિત થઇ હતી. જેમાં જીજરી ગામમાં ચારે બાજુ પાણી ભરાતા રસ્તાઓ બંધ થઇ ગયા હતા. ગામમાંથી પસાર થતી ધૂંધવી નદીનું પાણી અને ગામના ખરાનું પાણી ગામમાં ફરી વળતા પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદની શરૂઆતમાં જ જીજરી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું અને ગામના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા હેરાનગતીના ઘોડાપૂર ઉમટ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાથે વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામમાં 7.5 ઈંચ તો પારડીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ધારીમાં સવા 2 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, વડિયામાં 2 ઈંચ, ચોર્યાસીમાં પોણા 2 ઈંચ અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.