આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આપણું ગુજરાત કેવું હોવુ જોઇએ તે વિશે થોડું લખવાનું ચૂકી નથી શકતો. આમ તો દરેક ભારતીય નાગરિક માટે રાજ્ય કે દેશનું તંત્ર સેવા કરે તે માટે અને નાગરિક પણ તેને સેવા તરીકે ઉપયોગ કરે તે માટે હોવું જોઇએ. પરંતુ કમનસીબે વર્ષોની આઝાદી બાદ પણ હજુ ગુલામી માનસિક્તાની સાથે સાથે કાયદાથી માંડીને પોતાની સત્તા અને નાગરીક તરીકેના અધિકારોનો પણ આપણે દૂરઉપયોગ કરતા જરા પણ અચકાતા નથી. આ માત્ર નેતાઓ અધિકારીઓ કે મોટા માણસોને જ લાગુ નથી પડતું પરંતુ આમ જનતાને પણ એટલું જ લાગુ પડે છે.
આમ તો 24 કલાક બાય 7માં મીડિયામાં કામ કરતા કરતા ખરેખર પોતાની જાત માટે પણ સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. પરંતુ હાલમાં જ એક કિસ્સો ખુબ નજીકથી જોવાની તક મળી અમદાવાદની એક સોસાયટી કે જેમાં દરેક સોસાયટીમાં હોય તેમ આ સોસાયટીમાં પણ ચેરમેન સેક્રેટરી અને સભ્યો હોય જેમાં સોસાયટી પાસેથી મેન્ટેન્સના ઉઘરાવાતા રુપિયાના અણઘડ વહીવટને લઇને સેક્રેટરી સામે એક સભ્યએ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.
જેમાંથી ધીરે ધીરે બંન્ને વચ્ચે ખટાશ વધતી ગઇ અને એક એવી ઘડી આવી ગઇ કે જેમાં સોસાયટીના સેક્રેટરીએ પોતાના પુત્ર સાથે મળી નાણાંની ઉચાપતના સવાલો ઉભા કરનાર વ્યકિતને ધોકાથી માર માર્યો સામેવાળા ભાઇની આંખ અને કાન પણ ગંભીર ઇજા પહોંચી એ ભાઇ જ્યારે હોસ્પિટલમાં સારવાર લે છે તે પહેલા તો સોસાયટીના સેક્રેટરી માર માર્યા બાદ ભાગી જઇ પોતાની પત્નિને પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી અને તેના પર છેડતી કરાઇ હોવાની માર ખાનાર ભાઇ પર ફરિયાદ કરી નાખી. આનું કારણ એટલું જ કે માર ખાનાર ભાઇ તેમની વિરુદ્ધ પોલીસ ફરીયાદ ના કરે... વિચાર તો કરો મિત્રો આપણે કેટલા ક્રુર અને ખરાબ વિચારવાળા બની ગયા છીએ.
એક દિવસ હતો કે જ્યારે બહારવટીઓ પણ જ્યારે ગામ ભાંગવા કે લુંટવા નિકળતા ત્યારે બહેન દિકરીને અડકતા પણ નહીં. તે સમયમાં બહેન દિકરી પણ પોતાની ઇજ્જતને જીવથી વધારે સાચવતી અને તેઓ પણ કોઇ ખોટા આક્ષેપો પણ કરતી નહીં. શું એક મહિલા પોતાની વિરુદ્ધ ખોટી છેડતીની ફરીયાદ કરી કેટલું મોટું પાપ કરી રહી છે. એ એને ખ્યાલ નહી હોય. જીવથી વ્હાલી ઇજ્જત એવા ઘણા દાખલા ગુજરાતની અગાઉની પેઢીઓને વાંચો તો ખ્યાલ આવે ત્યારે આવી નજીવી બાબતમાં મહિલાનો અંગ એ શું માત્ર સુરક્ષા કવચ છે પુરુષ માટે...? ખેદ છે આવા પૂરૂષો માટે કે જે પોતાની બહેન કે પત્નીનો પોતાના બચાવ માટે ખોટો ઉપયોગ કરતો હોય.
આ ઘટના સાંભળતા મને અંદર ઉતરવાની ઇચ્છા જાગી પોલીસ સ્ટેશનમાં પણ હું માર ખાનાર મિત્ર સાથે ગયો... તો પોલીસ અધિકારીએ પણ સામે વાળાએ સત્તાનો દુરઉપયોગ કરી છેડતીની અરજી આપી હોવાનો એકરાર કરી કઇ રીતે સમાધાન થાય તે અંગે રસ્તો બતાવવા લાગ્યા.
મને લાગ્યું કે ખરેખર આપણે એ આઝાદ ભારતમાં જીવીએ છીએ કે જેની આઝાદી માટે ભગતસિંહથી માંડીને ચંદ્રશેખર આઝાદ સુધીએ પોતાના જીવના બલિદાનો આપ્યા છે. ગાંધીજી જેવા મહાન વ્યકિતએ પોતાનુ આખું જીવન આઝાદી મેળવવા પાછળ ખર્ચી નાખ્યું અને ઉપરથી ગોડસે જેવાની ગોળી ખાઇ દેહ છોડવું પડ્યું. એ આવી આઝાદી માટે એક ભાઇ પોતાની પત્નિને ખોટી છેડતીની ફરીયાદ કરાવી શકે તેનાથી મોટું હીન કૃત્ય શું હોઇ શકે. આ જોઇને મને ખુબ આધાત લાગ્યો કે ઇજ્જતથી વહાલું જીવ કેમ હોઇ શકે.
આના પરથી લાગ્યું કે આપણે પોતે જ એટલા હીન માનસિકતા વાળા છીએ કે જેના કારણે અધિકારીઓ પણ આપણી લાલચુ સ્વભાવનો લાભ લઇ અંગ્રેજોની જેમ લૂંટે છે. નેતાઓ પણ ચૂંટણીઓ જીતવા રુપિયાની જરૂર પડશે તેમ માનીને પોતાના ઘર ભરે છે. અને જનતા પણ ચૂંટણી સમયે એક બોટલ દારૂથી માંડીને ભજીયા અને જલેબી ખાવા માટે કે 500 રુપિયા જેવી નજીવી કિંમતમાં આપણે આપણો લોકશાહીના આત્મા એવા મતને ભ્રષ્ટાચારી આપીને પાછા આવીએ છીએ. આજે સારા વ્યકિતને ના તો સમાજ પ્રોત્સાહન આપે છે કે ના તો સાથ... આજે ખોટા ધંધામાંથી નાણાં કમાઇને સમાજમાં રીબીનો કાપતા લોકોને આપણે મોટા માનતા થઇ ગયા છીએ. ખરેખર એ સમાજ માટે દુષણ સમાન છે. એટલું જ નહીં આપણે ખરેખર દિલ અને નિષ્ઠાથી કામ પણ કરતા નથી.
ઘણા એવા સરકારી કર્મચારીઓ છે કે જેઓ પોતે કામ કરવાના બદલે પોતાને સારી જગ્યા પર પોસ્ટીંગ મળે તેની જ લાલચમાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના લાગવગો લગાવતા ફરે છે. આવું કયાં સુધી કરશો? અરે ભગવાને તમને હોદ્દો આપ્યો છે તેનો જ્યાં પ્રભૂની ઇચ્છા હોય ત્યાં કામ કરીને સારૂ કરોને. પરંતુ એવું કોઇને કરવામાં રસ નથી. અને ઉપરથી હરામનો રુપિયો ઘરમાં મેળવીને એ અધિકારીઓ આખરે જે પુત્રો માટે પોતે કેટલાય ગરીબના પુત્રોના મોઢામાંથી કોળીયા આંચકીને ધન કમાઇને આપ્યું હોય તે જ પુત્ર મોટો થઇને તે જ અધિકારીને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. તો પહેલેથી જ એવી કમાણી તમે તમારા સંતાનને શું કામ ખવડાવો છો કે જેની મતી જ ભ્રષ્ટ થઇ જાય...
કહેવાનો ભાવાર્થ એ જ છે કે આપણે જ્યાં હોઇએ ત્યાં ખોટું ના કરીએ અને સત્ય અને નિષ્ઠાથી કામ કરીએ તો... માનીલો કે થોડી તકલીફ પડી તો શું... ભગવાન પરીક્ષા તો રાજા હરિચંદ્રની પણ લીધી હતી. અને આપણે ક્યાં સંપુર્ણ હરીચંદ્ર થવું છે. પરંતુ તમે નિષ્ઠા રાખો તો પણ બહુ છે. આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જો વાત કરીએ તો હત્યા લૂંટ બળાત્કાર અને ઝઘડાઓ એટલા વધ્યા છે તેમા માત્ર પોલીસનો વાંક નથી. માણસ કેટલો લાલચું બની ગયો છે કે ભાઇની જમીન હોય અને પોતે થોડો હોશિયાર હોત તો તે જમીનના ખોટા દસ્તાવેજો કરીને પોતાનુ નામ ચડાવી લે છે. શું આ નીતિ છે? આપણે આપણા ભાઇને પણ જમીન માટે છોડી દઇએ છીએ. ઉચ્ચ હોદ્દા પર બીરાજમાન હોવા છતાં આપણે પુત્રવધુ પાસે દહેજ માંગીએ છીએ. ઇગોના કારણે આપણે મારામારી કરીને મોટા ભાગનો સમય પોલીસ અને કોર્ટના ધક્કા ખાવામાં કાઢી નાખીએ છીએ.
ખરેખર શું કરીએ છીએ? સામાન્ય પાર્કિંગ મામલે માથાકુટ કરી વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા કરતા એમાં આપણે થોડી ઉદારતા બતાવીએ તો ના ચાલે? દર વખતે સામેવાળાની જ ભૂલ હોય તેવું માનવા કરતા આપણી પણ ભૂલ હોય તો તેને હસીને માફી માંગીને ઝઘડાનો અંત લાવીદો તો ના ચાલે? કદાચ સામેવાળાની ભૂલ હોય અને આપણે એને ક્ષમા કરીને મોટું મન કરીને સામેવાળાને પણ એ અહેસાસ ના કરાવી શકીએ કે હું તને પહોંચી વળવા સમર્થ હોવા છતાં પણ હું ક્ષમા કરી તને સુધરવાની તક આપું છું. એવુ ના કરી શકીએ?
આજે શિક્ષણ કે જે મુળભૂત અધિકાર છે. તેને આપણે હંમેશા પ્રોફીટ કરતી ફેક્ટરી તરીકે જોઇને સરસ્વતીનો વેપાર કરી કેટલાય બાળકો અને તેના વાલીઓની કુદુવા લઇએ છીએ. શું આવું કરવા માટે ભગવાન તમને સંચાલકો બનાવ્યા છે? કહેવાનો ભાવાર્થ કે તમે જ્યાં પણ હોવ ત્યાં સારૂ કેમ ના થઇ શકે. ધંધામાં પણ આપણે લખવું પડે છે કે 'ચોખ્ખુ શુદ્ધ' શું આપણે ભેળસેળ કરતા સમયે યમરાજાનો જરા પણ ડર નથી રાખતા? શું આપણો મૃત્યુ આવવાનો જ નથી એમ વિચારી છીએ? અને એ સંભવ છે ? જો નથી તો પછી આપણે શું કામ થોડી કમાણી માટે લાખો મનુષ્યના આરોગ્ય સાથે ચેડા કરીએ છીએ.
તો આજે એવો સંકલ્પ લો કે આપણે શું સારૂ કરી શકીએ. ભારત અને ગુજરાતનો નાગરીક એ સાચો નાગરિક બને અને તેને ન્યાય માટે કોઇ નેતા કે અધિકારીની ભલામણની જરૂર ના પડવી જોઇએ. સાથે સાથે આપણે ખોટા હોઇએ અને ખોટી રીતે કોઇને કેસમાં ભેરવીને પછી બુમરાણ પણ ના પાડતા હોવા જોઇએ કે મને ન્યાય નથી મળતો. એટલે 'આજે માણસ માણસ બને તોય ઘણું છે...'
ઈસુદાન ગઢવી VTV News ચેનલનાં એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.