પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને લઈને રાજકીય વાતાવરણમાં ગરમાવો વધી રહ્યો છે, આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.
મમતા બેનરજીએ કરી પ્રેસ કૉંફરેન્સ
ગૃહમંત્રી અમિત શાહ પર કરી વ્યક્તિગત ટિપ્પણી
કોરોના વેક્સિનને લઈને પીએમ મોદી પર સાધ્યું નિશાન
પોતાની પ્રેસ કૉંફરેન્સ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે જૂનો સુભાષચંદ્ર બોસનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કોરોના રસી ને લઈને પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા, આ સિવાય તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું.
આવા ગૃહમંત્રી તો નથી જોયા: મમતા બેનરજી
ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે મેં આ પ્રકારના ગૃહ પ્રધાન આ પહેલાં ક્યારેય જોયા નથી. ગૃહ પ્રધાને દેશ ચલાવવો જોઈએ. તેના બદલે, તેઓ સ્થાનિક ચૂંટણીઓનું સંચાલન કરવામાં વ્યસ્ત છે. લોકોના ઘરે જમવા જાય છે ફોટો પડાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશની સ્થિતિ અને દેશની સરહદોને જુઓ અને દેશની અર્થવ્યવસ્થાને જુઓ ક્યાં જઈ રહી છે.
પીએમ મોદી સાથેની મુલાકાત પછીના એક દિવસ પછી કોરોના રસી પર વાત કરતા, મમતા બેનર્જીએ કહ્યું, "તેઓ રસી વિશે આટલી મોટી ચર્ચામાં સામેલ થયા છે, પરંતુ રસી ક્યારે આવશે તે કોઈને ખબર નથી. તેમ છતાં તેઓ છેલ્લા છ મહિનાથી આમાં છે. તેઓ ભાષણ આપવામાં વ્યસ્ત છે."
મમતાએ ખેડૂત આંદોલન અંગે પણ વાત કરી હતી
ખેડૂત આંદોલન અંગે વાત કરતાં મમતા બેનરજી એ કહ્યું હતું કે સરકાર તેમના હકો પર તરાપ મારી રહી છે, કૃષિ કાયદાઓ ગેરબંધારણીય છે. આ બાબતે તમને વધુમાં કહ્યું હતું કે જો ખેડૂતો તેમણે બોલાવશે તેઓ તેમના સમર્થનમાં ઉતરશે. તેમણે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો. આ સાથે જ ભાજપ ને તેમણે બંગાળમાં બહારની પાર્ટી ગણાવી હતી, તેમણે કહ્યું હતું કે જો કોઈ સાંપ્રદાયિક સમસ્યા ઊભી કરે છે અને માત્ર ચૂંટણીઓ પહેલા બંગાળ આવે છે તો તે બંગાળના નહીં પણ બહારના છે.
આ સાથે જ તેમણે મમતા બેનરજી એ ફરી નેતાજી બોઝનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની 125મી જયંતીના અવસરે બંગાળ સરકારે એક વર્ષ ચાલનારા કાર્યક્રમો માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જેમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેન અને અભિજિત બેનર્જીને સમિતિનો ભાગ બનાવાયા છે આ સિવાય પણ ઘણા બુદ્ધિજીવીઓ આમાં સામેલ થશે. કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે નેતાજીના પરિવારને ક્લોઝર રિપોર્ટ આપવાની વાત કરાઇ હતી પરંતુ તે હજુ સુધી કેન્દ્રે આપ્યો નથી.