પ.બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી રણનીતિકાર અને જનતા દળ યૂનાઇડેટ (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની ગુરુવારે મુલાકાત કરી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે.
આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત અપાવવા પાછળ પ્રશાંત કિશોરની રણનીતિ હતી. મમતા અને કિશોર વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.
પ્રશાંત કિશોર એક મહીના બાદ મમતા બેર્જી માટે કામ કરવાનું શરૂ કરશે. લોકસભા ચૂંટણીમાં બંગાળમાં બીજેપીએ 18 બેઠક મળ્યા બાદ મમતા બેનર્જીનો કિલ્લો ધરાશાઇ થવાની આશંકા દર્શાવાઇ રહી છે. જેથી 2021ની વિધાનસભા ચૂંટણી માટે ટીએમસી બીજેપીને ઇટનો જવાબ પથ્થરથી આપવા માટે કોઇ કસર છોડવા માંગતી નથી. કોલકત્તામાં બેઠક બાદ મમતાએ પ્રશાંત કિશોર સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.
પ્રશાંત કિશોર જાણીતા ચૂંટણી રણનીતિકાર છે. તેમને રાજકીય જગતના ચાણક્ય ગણવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં પોતાના રાજકીય રણનીતિ દ્વારા એમણે ચંદ્રબાબૂ નાયડૂને સત્તાથી બહાર કરી નાંખ્યા. એમની ચૂંટણી રણનીતિને કારણે જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસે આંધ્રપ્રદેશની તમામ 25 બેઠક જીતી અને વિધાનસભામાં 175 માંથી 150 બેઠકો પર જીત હાંસલ કરી.
રાજનીતિમાં પ્રવેશ
પ્રશાંત કિશોર ગત વર્ષે સક્રિય રાજનીતિમાં આવ્યા હતા. એમને જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણીમાં પાર્ટીએ તેમને કોઇ કામ આપ્યું નહોતું. આપને જણાવીએ કે, પ્રશાંત કિશોરે 2014માં લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે કેમ્પેન ડિજાઇન કર્યું હતું. બાદમાં 2015માં નીતિશ કુમારની જીત પાછળ પણ તેમનો હાથ હતો. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં જીત નહોતા અપાવી શક્યા. જે બાદ તેમણે ખુદ ને લો પ્રોફાઇલ બનાવી લીધા હતા. જોકે, પંજાબમાં કોંગ્રેસને તમની રણનીતિથી લાભ થયો હતો.