વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ રાત્રે 9 વાગે બ્લેકઆઉટ કરીને દીવા-મીણબત્તી પ્રગટાવવાના આહ્વાહન બાદથી જ ઘણા રાજનેતાઓએ વિરોધના સૂર પૂરાવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે પીએમ મોદીના કટ્ટર વિરોધી છે તેમણે પીએમ મોદીની અપીલ પર મોટું નિવેદન આપ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રની રાજનીતિના મોટા નેતા સંજય રાઉતે પણ ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું મને ઊંઘ આવશે તો હું સુઈ જઈશ, આ અંગત પ્રશ્ન છે
મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ કહ્યું બ્લેકઆઉટના લીધે ઈમરજન્સી સેવાઓ પર અસર પડશે
સંજય રાઉતનો કટાક્ષ 'આશા રાખું છું અમુક લોકો પોતાના ઘર નહીં સળગાવે'
પત્રકારો સાથેની વાતચીતમાં પ. બંગાળના મુખ્યમંત્રીને જ્યારે વડાપ્રધાનની અપીલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'હું પીએમના વિષયમાં કેમ નાક વચ્ચે નાખું? જો તમને લાગે છે તેમણે કંઈ સારું કર્યું છે તો તેને અનુસરો. આ બધાની અંગત પસંદ છે, જો મને ઊંઘવું હશે તો હું તો સુઈ જઈશ.' તેમણે વધુમાં કહ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન અત્યારે કોરોના વાયરસ પર છે, તે વિષય પર રાજનીતિ કરવા માંગતા નથી.
મહારાષ્ટ્રની શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે પણ પીએમ મોદીની અપીલ પર કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે 'જ્યારે લોકોને તાળી-થાળી વગાડવા કહ્યું હતું ત્યારે ભીડ રસ્તા પર ઉતરી આવી અને ઢોલ-નગારા વગાડ્યા, હું આશા રાખું છું હવે આ લોકો પોતાના ઘર જ ના સળગાવી નાખે. સાહેબ અમે દીવા તો પ્રગટાવીશું પણ તમે એ તો કહો કે પરિસ્થિતિ સુધારવા માટે સરકાર શું પગલાં લઇ રહી છે.'
મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ પણ લોકને લાઈટ બંધ કર્યા વગર જ દીવા પ્રગટાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અચાનક જ બધી લાઈટ બંધ થવાથી ગ્રીડ ફેલ થઇ જશે, જેના કારણે બધી જ ઈમરજન્સી સેવાઓ પણ ઠપ થઇ જશે, વીજ સપ્લાય ચાલુ કરવામાં 12 થી 16 કલાકનો સમય લાગી જશે. તેમણે આ વિષયમાં કહ્યું કે લોકડાઉનના કારણે પહેલાં જ વીજળીની માંગ ખૂબ ઓછી છે. જો બ્લેકઆઉટ કરવામાં આવશે તો ગ્રીડ ફેલ થઇ જશે, એવામાં આવું કરતા પહેલાં વિચારવું જોઈએ.