પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
મમતા બેનર્જી પીએમ મોદીને મળવા પહોંચ્યા
આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી શકે છે
આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. કહેવાય છે કે, આજે સાંજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી ચાર દિવસ માટે દિલ્હી આવ્યા છે. હાલમાં જ ટીએમસી અને ભાજપ નેતાઓ વચ્ચે કેટલાય મુદ્દા પર મતભેદ થયા છે. ઈડીની કાર્યવાહીને લઈને ટીએમસી નેતાઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે.
ટીએમસી નેતા ભાજપ સરકારને મોંઘવારી, જીએસટી જેવા મુદ્દાને લઈને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે આશા છે કે, મમતા બેનર્જી આ મુદ્દાને લઈને પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે.
મમતા બેનર્જી 7 ઓગસ્ટના રોજ નીતિ આયોગની બેઠકમાં પણ જોડાશે. પીએમ મોદી 7 ઓગસ્ટના રોજ નીતિ આયોગની ગવર્નિંગ કાઉંસિલની બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં કૃષિ, સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ મુદ્દા પર ચર્ચા થશે.
આ અગાઉ મમતા બેનર્જીએ પોતાની દિલ્હી યાત્રા દરમિયાન પાર્ટીના સાંસદો સાથે મહત્વની બેઠક કરી હતી. ટીએમસી તરફથી કરવામા આવેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં સંસદના ચાલુ સત્ર, 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ અને અલગ અલગ મુદ્દા પર વિચાર વિમર્શ થયો હતો. આ દરમિયાન આગામી દિવસોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી.