મમતા બેનર્જીએ કહ્યું કે ગડકરીએ તેમને મુખ્ય સચિવને દિલ્હી મોકલવા કહ્યું છે મારા મુખ્ય સચિવ આવતીકાલે બેઠક કરવા માટે દિલ્હી આવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી દિલ્હી પ્રવાસે
એક બાદ એક દિગ્ગજ નેતાઓ સાથે કરી બેઠક
ગડકરી સાથેની બેઠક બાદ મુખ્ય સચિવને દિલ્હી બોલાવ્યા
ગડકરી અને મમતા દીદી વચ્ચે નિવાસ સ્થાને થઈ બેઠક
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનર્જીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. મમતા દીદી આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનાં ઘરે પહોંચ્યા હતા અને ત્યાં મુલાકાત બાદ તેમણે કહ્યું કે મેં કહ્યું છે કે બંગાળમાં ઈલેક્ટ્રિક બસ, ઈલેક્ટ્રિક ઑટો, ઈલેક્ટ્રિક સ્કૂટરનું નિર્માણ કરવામાં આવે. અમારું રાજ્ય બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને પૂર્વોત્તરનાં રાજ્યોની નજીક છે તેથી અમને સારા રોડ રસ્તાની આવશ્યકતા છે.
મુખ્ય સચિવને દિલ્હી બોલાવાયા
મમતા બેનર્જીએ કહ્યું કે ગડકરીએ તેમને મુખ્ય સચિવને દિલ્હી મોકલવા કહ્યું છે. તેમણે કહ્યું કે મારા મુખ્ય સચિવ આવતીકાલે બેઠક કરવા માટે દિલ્હી આવી રહ્યા છે અને ગડકરીની સુવિધા અનુસાર હું તેમને મળવા મોકલીશ.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે મમતા બેનર્જીનાં ચીફ સેકેટરીને દિલ્હી બોલાવ્યા હતા પરંતુ મમતાએ ત્યારે સચિવ મોકલવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
કોલકાતાની આસપાસ ચાલી રહેલ પરિયોજનાઓની કરી સમીક્ષા
મીડિયા અહેવાલ અનુસાર મમતા અને ગડકરી વચ્ચેની મુલાકાતમાં તાજપુરમાં પોર્ટન વિકાસ તથા રસ્તાની જુદી જુદી યોજનાઓ મુદ્દે ચર્ચા થઈ હતી. આ સાથે જ રાજ્યમાં ચાલી રહેલ પરિયોજનાઓની સમીક્ષા પણ કરવામાં આવી. આ સિવાય કોલકાતાથી 200 કિમી દૂર પોર્ટને લઈને ચાલી રહેલા વિકાસ કાર્યમાં 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે જેનાથી હજારો યુવાનોને રોજગાર મળી રહેશે.
રાજકારણ પણ ગરમાયું
નોંધનીય છે કે મમતા બેનર્જીનાં દિલ્હી પ્રવાસનાં કારણે રાજકારણમાં પણ ખૂબ હલચલ વધી ગઈ છે. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટી સુધીનાં તમામ દિગ્ગજ નેતાઓ સાથે દીદી મુલાકાત કરી રહ્યા છે. એવામાં મોદી સરકારનાં મંત્રી સાથેની બેઠકે પણ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.