નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે દિલ્હી ખાતે યોજાનારા આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ જવાના છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, મેં આ વિષયના સંદર્ભમાં અન્ય મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કારણ કે, આ એક બંધારાણીય શિષ્ટાચાર છે એટલા માટે મેં આ શપથવિધિ સમારોહમાં જવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન એક સમય એવો પણ હતો કે, દીદીએ નરેન્દ્ર મોદીને 'પ્રધાનમંત્રી' માનવાનો ઇનકાર કર્યો હતો.
આ મામલે મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, મેં આ વિષયના અનુસંધાનમાં અન્ય મુખ્યમંત્રીઓ સાથે વાતચીત પણ કરી અને આ સમારોહમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. બંધારણની રીતે કેટલાક ઔપચારિક કાર્યક્રમો હોય છે. રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળે તો અમે તેવા કાર્યક્રમોનો હિસ્સો બનવાનો પ્રયાસ કરીએ છીએ.
'દીદી'ને પડ્યો છે મોટો ફટકો
પ.બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે થયેલ તણાવ અને હિંસા વચ્ચે યોજાયેલ લોકસભા ચૂંટણી બાદ મમતાના ગઢમાં ફરીએકવાર મોટું ગાબડું પડ્યું હતું. TMCના 3 ધારાસભ્યો અને 29 કાઉન્સિલર ભાજપમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ટીએમસીના 3 ધારાસભ્યો અને કેટલાક કાઉન્સિલરોએ આજરોજ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેમાં TMC ના દિગ્ગજ નેતા મુકુલ રોયના દિકરી સુભ્રાંશુ રોય પણ જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મુકુલ રોયના દિકરા સુભ્રાંશુ રોય પોતાના પિતાની સાથે જ ભાજપના હેડ ક્વાટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેસરીયા કર્યા હતા અને ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. આ ઘટનાને પગલે TMC દ્વારા તેમને કાઢી મુકવામાં આવ્યા છે.આ સિવાય TMCના એક અન્ય ધારાસભ્ય અને CPMના એક ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા.
પશ્ચિમ બંગાળના પ્રભારી અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ મામલે કહ્યું કે, 50-60 કાઉન્સિલર ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલ આ સભ્યોએ જણાવ્યું હતું કે, અમે મમતા દીદીથી નારાજ નથી પરંતુ તાજેતરમાં થયેલ ભાજપના વિજયથી પ્રભાવિત થઈને અમે પાર્ટીમાં જોડાઇ રહ્યા છીએ.