લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક વર્ચસ્વની લડાઈ આ સ્તર સુધી પહોંચી જશે તેની કલ્પના કદાચ કોઈએ કરી નહીં હોય. બંગાળમાં છેલ્લાં બે-ત્રણ સપ્તાહમાં જ રાજકીય હિંસામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના અનેક કાર્યકરોની હત્યા કરી દેવામાં આવી છે.
ખાસ કરીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકરોને જે રીતે ‘ટાર્ગેટ’ કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગયાં છે અને ગંભીર સંકટ ઊભું થયું છે. એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે મમતા બેનરજી સરકાર રાજ્યમાં કાયદાની સ્થિતિ સંભાળવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.
એક સમયે આઝાદીના લડવૈયાઓની હાકલથી ધબકતી બંગાળની ધરતી આજે સત્તા પ્રાયોજિત હિંસાથી રક્તરંજિત થઈ ગઈ છે. નોર્થ ર૪ પરગણા, મુર્શિદાબાદ, બાંકુરા, વીરભૂમ, માલદા, નાડિયા–કોઈ જિલ્લો બાકી નથી, જ્યાં રાજકીય હિંસા ન ફેલાઈ હોય. ભાજપે લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ દાવો કર્યો હતો કે તેમના પ૪ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. આ કાર્યકરોનાં પરિવારજનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
બશીરહાટ હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકારને એક એડ્વાઈઝરી જારી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મમતા સરકારે આ તમામ આરોપો ફગાવીને હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. બંગાળમાં બબાલ વધતી જાય છે તેમ તેમ રાષ્ટ્રપતિ શાસનની માગણી પણ વધુ ને વધુ ઉગ્ર બનતી જાય છે.
કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કર્યા બાદ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમની આ મુલાકાતથી અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. જે સમયે દેશમાં રાજકીય હિંસાની ઘટનાઓ બહુ ઓછી બનતી હતી ત્યારે પણ પશ્ચિમ બંગાળ હિંસાથી સળગતું હતું.
આજે પાત્રો ભલે બદલાઈ ગયાં હોય પણ સ્થિતિ એ જ છે. જ્યોતિ બસુથી લઈને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સુધીના નેતાઓની આગેવાનીમાં ડાબેરી પક્ષોએ ૩૪ વર્ષ સુધી બંગાળ પર એકહથ્થુ શાસન ભોગવ્યું. આ નેતાઓના રાજમાં જ ૧૯૭૭થી ર૦૦૭ વચ્ચે પશ્ચિમ બંગાળમાં અંદાજે ર૮ હજાર લોકોની રાજકીય હત્યાઓ થઈ.
મમતા બેનરજી (Mamata Banerjee) નો ઉદય પણ ડાબેરીઓ સાથેની હિંસામાંથી જ થયો હતો. બંગાળમાં રાજ ભલે બદલાયું હોય પણ ખૂની ખેલ તો આજે પણ ચાલુ જ છે. બંગાળમાં ર૦ર૦માં નગર નિગમ અને ર૦ર૧માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
એક વખત એવો હતો જ્યારે તૃણમૂલનો સીધો મુકાબલો ડાબેરી મોરચા સાથે હતો પણ હવે સમીકરણો સાવ બદલાઈ ગયાં છે. ભાજપ સતત તૃણમૂલના મજબૂત ગણાતા ગઢ કબજે કરી રહ્યો છે. તૃણમૂલના અનેક નેતાઓ અને કાર્યકરો ભાજપનો ખેસ પહેરી રહ્યા છે. આ બધાથી ગભરાઈ ગયેલાં મમતા બેનરજીએ કાર્યકરોને જે છૂટોદોર આપ્યો છે તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. ભાજપે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન જે રીતે બંગાળમાં પગ જમાવવાનું શરૂ કર્યું છે તેનાથી મમતા બેનરજીના પક્ષના પાયા હચમચી ગયા છે.
ર૩ મેના રોજ જ્યારે લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં ત્યારે તૃણમૂલ અને મમતા બેનરજીના પગ હેઠળથી જમીન સરકી ગઈ હતી. ભાજપ બંગાળમાં ૧૮ બેઠક જીતે તેનાથી મોટો કોઈ આઘાત મમતા માટે હોઈ શકે નહીં. બંગાળનાં મુખ્યપ્રધાન આ આઘાત ઝીરવવામાં સાવ નિષ્ફળ ગયાં અને તેમણે જવાબદાર સરકારની કોઈ ફરજ બજાવી નહીં.
મમતા બેનરજીની બંધારણીય જવાબદારી છે કે તેઓ બંગાળમાં સતત જારી રાજકીય હિંસા પર પ્રભાવીરૂપે અંકુશ લગાવે પણ દુર્ભાગ્યે આમ થયું નથી. મમતા સરકારે રાજકીય હિંસા રોકવા માટે કોઈ કડક કાર્યવાહી ઝડપભેર હાથ ન ધરી એ જ સમસ્યા નથી પણ તેઓ હિંસામાં જેના હાથ લોહીથી ખરડાયેલા છે તેવાં તત્ત્વોનો ખુલ્લેઆમ બચાવ કરી રહ્યા છે. આ વલણ રાજકીય દૃષ્ટિએ આત્મઘાતી સાબિત થઈ શકે છે.
એવું લાગી રહ્યું છે કે જાણે ખુદ મમતા બેનરજી ઈચ્છે છે કે કેન્દ્રની મોદી સરકાર બંગાળની બબાલમાં દરમિયાનગીરી કરે અને રાષ્ટ્રપતિ શાસન લાદે, જેથી તેનો સીધો ફાયદો વિધાનસભા ચૂંટણીમાં ઉઠાવી શકાય. મમતાએ એક હકીકત સમજવી પડશે કે સડકછાપ લડાઈ, હિંસા અને અડિયલ સ્વભાવથી કોઈ પક્ષ તેનું લક્ષ્ય હાંસલ કરી શકતો નથી.