જો દેશમાં NDAની સરકાર બહુમતી સાથે ન બની તો પ્રધાનમંત્રી કોણ બનશે? આ સવાલ સૌકોઈને થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ જુદા-જુદા નેતાઓના નામની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એનસીપીના પ્રમુખ શરદ પવાર ત્રણ નામોને દાવેદાર ગણાવે છે. ત્યારે કોણ છે પવારના મતે પ્રધાનમંત્રી પદના દાવેદાર?
NDAની સરકાર ન બની તો પ્રધાનમંત્રી કોણ? આ સવાલ હાલ સૌકોઈને થઈ રહ્યો છે. કોંગ્રેસ રાહુલ ગાંધીને ગાદી પર બેસાડવાના સ્વપ્ના જોઈ રહી છે. જ્યારે અન્ય પાર્ટીઓ જુદા-જુદા નેતાઓના નામ પર મહોર લગાવી રહી છે. તેવામાં એનસીપીના પ્રમુખ શરદ પવાર ત્રણ નામો પર મહોર લગાવી છે.
શરદ પવારે એક ઈન્ટવ્યુમાં એવું જણાવ્યું કે, NDAને આ વખતે બહુમતી મળે તેવી કોઈ આશા નથી. દરેક ક્ષેત્રે નિષ્ફળ રહેલ ભાજપને આ વખતે મોટો ફટકો પડશે. 2014 કરતા અંદાજીત 100 જેટલી વધુ સીટો ભાજપ આ વખતે ગુમાવશે. તેવામાં NDAની સરકારને બહુમત નહીં મળે. જેથી નવા પ્રધાનમંત્રી માટે નવા ઉમેદવાર વિશે વિચારવું પડશે. મારા મતે મમતા બેનર્જી, ચંદ્રબાબૂ નાયડૂ અને માયાવતી પ્રધાનમંત્રી પદ માટે દાવેદાર બનાવા માટે સક્ષમ છે.
મહત્વનું છે કે, મહાગઠબંધનમાંથી માયાવતી, અખિલેશ અને તૃણમુલ કોંગ્રેસ સહિતની કેટલીક ભાજપ વિરોધી પાર્ટીઓએ આ ચૂંટણીમાં દૂરી બનાવીને રાખી છે. પરંતુ જો NDAને બહુમત ન મળે તો શરદ-પવાર એન્ટી NDA પાર્ટીઓને એકસાથે લાવવામાં મહત્વપૂર્ણ રોલ અદા કરી શકે છે. કેટલાક નેતાઓ તો પવારને પણ પ્રધાનમંત્રી પદના દાવેદાર માની રહ્યા છે. પરંતુ ખુદ પવારે આવી ચર્ચાઓનો અંત લાવી દીધો છે. તેમણે ત્રણ નામ આપ્યા છે. જેને લઈને પહેલાથી જ ચર્ચાઓ થઈ રહી છે.
જોકે આવી ચર્ચાઓ તો હાલ 23મી સુધી ચાલતી રહેશે. 23મીએ દેશવાસીઓને અને તમામ રાજકીય પક્ષોને ખબર પડી જશે કે, કોનું પલડું ભારે છે.