લોકસભા ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર નેતાઓ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિશાન સાધ્યું હતું. તેમણે આજરોજ નિશાન સાધતા આ તમામ નેતાઓને લાલચી તથા ભ્રષ્ટ કહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ ધારાસભ્ય તથા 12 કાઉન્સીલર્સ ભાજપમાં જોડાયા હતા.
પાર્ટી કચરો બહાર ફેંકી રહી છે અને ભાજપ તેને જમા કરી રહ્યું છે
મમતાએ કહ્યું કે, અમારી પાર્ટી કચરો બહાર ફેંકી રહી છે અને ભાજપ તેને જમા કરી રહ્યું છે. તેણીએ વધુમાં કહ્યું કે, ગદ્દારોની જગ્યા સમર્પિત સભ્યોને આપવામાં આવશે. મમતા દીદીએ એવું પણ કહ્યું કે, જે લોકોએ અત્યારે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે તેઓ પણ ટૂંકા સમયગાળામાં પાર્ટી છોડી દે.
મમતા દીદીના ધારસભ્ય સહિત કાર્યકરોએ કર્યા કેસરિયા
આપને જણાવી દઇએ કે, મંગળવારના રોજ બોનગોનથી તૃણમૂલના ધારાસભ્ય વિશ્વજીત દાસ, 12 અન્ય કાઉન્સિલર્સ તથા કોંગ્રેસ પ્રવક્તા પ્રસન્નજીત ઘોષ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય તથા મુકૂલ રોયની હાજરીમાં કેસરિયા કર્યા છે.
2014માં 2 બેઠક પર જીત, 2019માં 18 બેઠક પર લીડ
2014માં માત્ર 2 બેઠકો મેળવનાર ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો પર જીત મેળવી શકી હતી. ત્યારબાદથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો ફેલાયો જોવા મળી રહ્યો છે. તો આ તરફ વડાપ્રધાન મોદીએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તેમની પાર્ટીના 40 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.