દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. ભારમાં લોકડાઉન ઘણા તબક્કાઓનું રહ્યું છે. લોકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં ઘણો કડક અમલ કરાયો, પરંતુ ત્યારબાદના તબક્કાઓમાં ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી. હવે લોકડાઉન-4 પોતાના અંતિમ ચરણમાં છે. 31 મેના રોજ લોકડાઉન-4 પુરુ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત મંથન કરવામાં આવી રહ્યું છે કે લોકડાઉનને દેશમાં આગળ વધારવામાં આવે કે નહીં. પરંતુ કેન્દ્ર સરકાર કોઇ નિર્ણય લે તે પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને લગભગ સંપૂર્ણ રીતે કાર્યરત કરવાની જાહેરાત કરી દીધી છે.
મમતા બેનર્જીએ ધાર્મિક સ્થળોને 1 જૂનથી ખોલવાની કરી જાહેરાત
રાજ્યમાં 8 જૂનથી બધા સરકારી કર્મચારીઓ કામ પર ફરશે
ગઇકાલે કોરોના સંકટને લઇને પત્રકાર પરિષદમાં મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન સાથે જોડાયેલા કેટલાંક મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે 1 જૂનથી બધા ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવશે. એટલે કે પશ્ચિમ બંગાળમાં હવે ધાર્મિક સ્થળોમાં ભક્તો દર્શન કરવા આવી શકશે. જો કે તેને લઇને કેટલાંક નિયમો બનાવામાં આવ્યાં છે. જેમાં એક સમયે માત્ર 10 ભક્તો જ આવી શકશે અને સેનિટાઇઝેશનની સંપૂર્ણ વ્યવસ્થા વગેરે કરવાની રહેશે.
આ સાથે પશ્ચિમ બંગાળમાં 8 જૂનથી બધા સરકારી તેમજ બિન સરકારી ઓફિસ ખોલી નાંખવામાં આવશે. જો કે ઓફિસ ખોલવાને લઇને કર્મચારીઓની સંખ્યાને લઇને કોઇ અલગથી જાહેરાત ન કરાતાં પુરતો સ્ટાફને ઓફિસમાં હાજરી આપવી પડશે.
મમતા બેનર્જીએ આ સાથે પત્રકાર પરિષદમાં રાજ્યના બધા હાઇ વે અને જિલ્લાના રોડને બીજી વખત ખોલવાની જાહેરાત પણ કરી હતી. મમતા બેનર્જીએ આ સાથે પત્રકાર પરિષદમાં 1 જૂનથી જૂટ ઇન્ડસ્ટ્રીઝને બીજી વખત ખોલી નાંખવાનું પણ એલાન કર્યું હતું. જૂટ ઇન્ડસ્ટ્રીઝમાં બધા કર્મચારીઓને પરત કામ પર જવાની મંજૂરી આપી દીધી છે.
આમ કોલેજ અને કોચિંગ કલાસ જેવી વસ્તુઓને છોડી પશ્ચિમ બંગાળમાં બધુ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હજુ લોકડાઉનના ચોથા તબક્કાના અંતિમ બે દિવસ બાકી છે. જ્યારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે મંથન ચાલી રહ્યું છે કે લોકડાઉન 5 લાગુ કરવામાં આવે કે નહીં.