મમતાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહને કાબૂમાં રાખવા જોઈએ નહીંતર અમિત શાહ બંગાળમાં કોમી રમખાણો કરાવી શકે છે.
મમતાએ કહ્યું કે અમિત શાહ વાઘ કરતા પણ ખતરનાક છે. વર્ધમાન જિલ્લાની એક રેલીમાં મમતાએ અમિત શાહ પર આવા ગંભીર આરોપ કર્યાં હતા. મમતાએ કહ્યું કે પ્રધાનમંત્રીને મારી અપીલ છે કે તેમણે શાહને કાબૂમાં લેવા જોઈએ. આ ઉપરાંત પણ મમતાએ અમિત શાહને ઘણા અપશબ્દો પણ કહ્યાં હતા.
મારી હત્યાની સોપારી અપાઈ પણ હું ડરવાની નથી-મમતા
મમતાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તમે મને મરેલી જોવા માંગો છો પરંતું હું ડરવાની નથી. મમતાએ કહ્યું કે હું મોતથી ડરતી નથી. મને મારવા માટે એક ષડયંત્ર પણ રચાયું હતું. મને ખબર છે કે એક રાજકીય દળ દ્વારા મને મારી નાખવાનું કાવતરુ કરાઈ રહ્યું છે. આ પક્ષે મારી હત્યાની સોપારી પણ આપી છે. ભાડૂતી હત્યારાને પૈસા પણ આપી દેવાયા છે અને મારા ઘરની રેકી પણ કરી લેવામાં આવી છે.
ચૂંટણી પંચે ભલે 10 નોટીસ આપે પણ વોટ વિભાજીત ન થવાની અપીલ કરતી રહીશ
બંગાળના દામજૂરની ચૂંટણી રેલીમાં મમતાએ કહ્યું કે મારી સામે ભલેને 10 નોટીસ જારી કરવામાં આવતી હોય પરંતુ હું અપીલ કરતી રહીશ કે જોજો વોટ વિભાજીત ન થવા દેતા. બધા એકજૂટ થઈને મતદાન કરજો. મમતાએ સવાલ કર્યો કે એ લોકોની સામે કેટલીક ફરિયાદ નોંધાઈ જેમણે નંદીગ્રામમાં મુસલમાનોને પાકિસ્તાની ગણાવ્યાં હતા. શું તેમને શરમ આવે છે. હું હિંદુઓ, મુસલમાનો, શીખો, ખ્રિસ્તીઓ અને આદિવાસીઓની સાથે છું. નરેન્દ્ર મોદીની સામે કેટલીક ફરિયાદો નોંધાઈ. તેઓ તો દરરોજ હિંદુ-મુસ્લિમ કર્યા કરે છે.
મમતા સામે મુસ્લિમ સમૂદાય પાસેથી વોટ માંગવાનો આરોપ છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું. ભાજપના પ્રતિનિધિમંડળે પંચના અધિકારીઓને મમતા બેનરજીની ફરિયાદ કરી. ફરિયાદમાં મમતા બેનરજી સામે એવો આરોપ કરાયો છે કે તેમણે હુગલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદાતાઓને એકજૂટ થઈને ટીએમસીના પક્ષમાં વોટ નાખવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે પણ ભાજપની આ ફરિયાદ પર ઘટતું કરવાની ખાતરી આપીને તાત્કાલિક કાર્યવાહી કરી.ભાજપની ફરિયાદ મળ્યાં બાદ ચૂંટણી પંચે મમતાને નોટીસ આપી તથા 48 કલાકમાં તેમની પાસેથી આનો ખુલાસો માંગ્યો છે.