માં પછી મામાનું માણસના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. પણ મહેસાણામાં એક એવા મામાનો કિસ્સો સામે આવ્યો છે. જેણે પોતાની બે સગીર ભાણીઓના માતાની જાણ બહાર લગ્ન કરાવી દીધા. માતા પોતાની બે પુત્રીઓને પાછી મેળવવા ભાઈને કરગરતી રહી, પણ ભાઈ એકનો બે ન થયો. છેવટે થાકેલી માતા પોલીસના શરણે ગઈ તો પોલીસે પણ માતાની વાત ન સાંભળી.
આખરે મહિલાઓના હક્ક માટે લડતી એક NGO આગળ આવી અને 16 વર્ષની કિશોરીને તેના પતિના ઘરેથી કબજો મેળવ્યો હતો. જો કે 13 વર્ષની અન્ય બીજી એક કિશોરીનો હજુ સુધી સંસ્થા પણ પત્તો નથી મેળવી શકી.
15 વર્ષની વયે લગ્ન કરી દેવાયા
લગ્ન માટે આપણે ત્યાં દીકરી માટે 18 વર્ષ અને દીકરા માટે 21 વર્ષની વય નિયત કરાઈ છે. આ પહેલા કોઈ પણ વ્યક્તિના લગ્નને કાયદાકીય માન્યતા નથી મળતી. તો વળી સગીરા સાથે લગ્ન કરવા કે તેના લગ્ન કરાવવા બંને કાનૂની અપરાધ છે. પરંતુ મહેસાણામાં સહેલી નામની એક NGOએ એક એવી સગીરાને છોડાવી છે. જેના 15 વર્ષની વયે લગ્ન કરી દેવાયા. તે પણ તેની માતાની જાણ બહાર આ લગ્ન કરાવનાર બીજું કોઈ નહીં પણ ખુદ સગીરાના મામા વાઘાજી ઠાકોર છે.
શું છે સમગ્ર ઘટના?
મહેસાણાના જમનાપુર ગામે રહેતા મામાએ પોતાની બે ભાણીઓને પોતાના ઘરે રહેવા બોલાવી. ત્યારબાદ 13 વર્ષ અને 15 વર્ષની કિશોરીઓના લગ્ન પણ કરાવી દીધા. આ લગ્નની મામાએ લગ્ન કંકોત્રી પણ છપાવી. જો કે તેની માતાને આ લગ્નની જાણ થાય તે પહેલાં મોડું થઈ ગયું. માતા પોતાની બે દીકરીઓ પાછી આપવા ભાઈ સામે કાકલૂદી કરતી રહી, પણ ભાઈ એકનો બે ન થયો. છેવટે માતા પોલીસ મથકે પહોંચી. પોલીસે પણ માતા ને કોઈ મદદ ન કરી. આખરે સહેલી નામની એક NGO આગળ આવી અને NGOએ અભયમની મદદથી કિશોરીનો કબજો મેળવ્યો.
80 હજાર ન આપે ત્યાં સુધી બે ભાણી મારી પાસે રહેશેઃ વાઘજી ઠાકોર
વારાહી તાલુકાના પોયડા ગામમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાના અગાઉ તેના ભાઈના સાટામાં લગ્ન થયા હતા. આ લગ્નજીવન દરમિયાન મહિલાએ બે બાળકીઓને જન્મ આપ્યો હતો. જોકે કેટલાંક વર્ષો બાદ મહિલા અને તેના પતિ સાથે મનમેળ નહીં આવતા તેણે તેના પતિથી છુટાછેડા લીધા હતા. ભાઈ વાઘજી ઠાકોરના લગ્ન પણ સાટામાં થયા હોવાથી બહેનના લગ્ન તૂટતા ભાઈ વાઘજી ઠાકોર મોટો સામાજિક દંડ આપવો પડ્યો હતો. આ દંડ વસૂલવા માટે વાઘાજી ઠાકોર તેની બહેન પાસે ઉઘરાણી કરતો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બહેન આ રકમ આપી શકી ન હતી. દરમિયાન જ્યાં સુધી ૮૦ હજાર રૂપિયા ન આપે ત્યાં સુધી બે ભાણીને પોતાના ઘરે રાખવાનું કહીને વાઘજી ઠાકોર લઈ ગયો હતો. દરમિયાન વાઘજી ઠાકોરે પોતાની બંને ભાણીના સગીર હોવાનું જાણતા હોવા છતાં લગ્ન કરાવી દીધા હતા.
આ ઘટનામા પોલીસ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. તો બીજી તરફ 13 વર્ષ ની દીકરી હજુ પણ ગાયબ છે. ત્યારે આ મામલે પોલીસ ગંભીરતા દાખવે તે ખૂબ જરૂરી છે. કિશોરીના લગ્ન કરવા એ પણ કાનૂની અપરાધ છે. પોલીસને કિશોરીના જન્મના પ્રમાણપત્ર આપવા છતાં કોઈ પગલા નથી લેવાયા.