વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ મામલે VTV ન્યૂઝના અહેવાલની અસર, પુરવઠા નિરીક્ષક અને પુરવઠા ઝોનલ-6ના અધિકારીની ટીમ તપાસ માટે પહોંચી.
વડોદરામાં VTV ન્યૂઝના અહેવાલની અસર
અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા
VTV ન્યૂઝ ફરી બન્યું લોકોનો અવાજ
વડોદરા શહેરની પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોનું VTV ન્યૂઝ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં આ દુકાનોમાં એક વ્યક્તિના નામના 2-2 રેશનકાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આ 2-2 રાશનકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો હતો. VTVના અહેવાલ બાદ પુરવઠા વિભાગની ટીમ દોડતી થઈ છે. અનિલ ભાભોરની દુકાનમાં પુરવઠા નિરીક્ષક અને પુરવઠા ઝોનલ-6ના અધિકારીની ટીમ તપાસ માટે પહોંચી છે. હાલ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
અનિલ ભાભોરની દુકાન ખાતે પહોંચી હતી VTVની ટીમ
વિગતવાર વાત કરીએ તો સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણની યોજના ચલાવી રહી છે. પરંતુ વડોદરા શહેરમાં રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબો માટેનું સરકારી અનાજ બરોબર કરવાના કાળા કરતૂતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાબતની તપાસ માટે 15 દિવસ પહેલા ખુદ પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. જેમને વડોદરાની 12 જેટલી દુકાનોમાં ગેરરીતિની તપાસ કરવાની હતી. એ તપાસનું શું થયું તે ભગવાન જાણે પરંતુ લાગે છે કે, 15 દિવસની તપાસ દરમિયાન પુરવઠા વિભાગના અધિકારીઓ હજુ અંધરામાં ફાંફા મારી રહ્યા છે. કેમ કે, ગેરરીતિ આચરનાર એક પણ દુકાનદાર વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી કરી નથી. ત્યારે પ્રજાભિમુખ પત્રકારત્વને વરેલા VTVએ પુરવઠા તંત્ર અને દુકાનદારોની એકબીજાને છાવરવાની મિલિભગતનો પર્દાફાશ કરતાં પુરાવા એકઠા કર્યા હતા.
સસ્તા અનાજની દુકાનમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બન્યા
VTV ન્યૂઝની ટીમ અટલાદરામાં આવેલી અનિલ ભાભોરની દુકાન ખાતે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા રેશનકાર્ડધારકોને આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું. અનિલ ભાભોરની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા. મફતમાં અનાજની જાહેરાત કર્યા બાદ પણ ગ્રાહક પાસેથી રૂપિયા લેવાતા હતા. સાથે જ સસ્તા અનાજની દુકાનમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બન્યા હતા.
2 રાશનકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ
આ ઉપરાંત શહેરમાં આવેલી દક્ષાબેન જગદીશભાઈની હંગામી દુકાનમાં 23 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બનાવીને કૌભાંડ આચરાવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તો તૈલી બંસીલાલ ભગવાનલાલની દુકાનમાં 22 કાર્ડધારકો, જય હરસિદ્ધિ દુકાનમાં 20 કાર્ડધારકો, લક્ષ્મીબેન કૈલાશ ખત્રીની દુકાનમાં 10 કાર્ડધારકો અને ભાભોર અનિલ ટીસાભાઈની દુકાનમાં 7 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બન્યા હતા.
અનાજ કૌભાંડ મામલે કલેકટર એ.બી ગોરનું નિવેદન
અનાજ બારોબાર સગેવગે થતું હોવાના કૌભાંડનો VTVએ પર્દાફાશ કર્યા બાદ વડોદરા કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, 'સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ મામલે તપાસ ચાલુ છે. તપાસ સમયસર અને ઝડપથી થાય એવી સૂચના આપવામાં આવી છે.' જિલ્લાના મુખ્ય પુરવઠા નિરીક્ષક આર.યુ પ્રાંખડાએ જણાવ્યું હતું કે, 'એક વ્યક્તિના નામે બે રાશનકાર્ડની યાદી આજે અમને મળી છે. અમે યાદીની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું. દુકાન પર આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જેમને બોગસ રાશનકાર્ડ બનાવ્યા છે એવા અધિકારી સામે કાર્યવાહી કરાશે.' VTVના અહેવાલ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.