દાહોદ જિલ્લામાં અતિકુપોષિત બાળકો ઇંડા ખાઇને પોષિત થાય તે માટે તેમનું લિસ્ટ બનાવીને પાંચ તાલુકાના 165 બાળકોને દસ મરઘા, એક મરઘા સહિતની વસ્તુ આપવાની યોજના બે દિવસથી ચર્ચામાં હતી. ત્યારે સરકારે આ મામલે ખુલાસો કરવો પડ્યો હતો.
પશુપાલનના ઉદ્દેશથી અપાયા છે મરઘા
આદિજાતી મંત્રી ગણપત વસાવાએ પણ કરી સ્પષ્ટતા
સીએમ રૂપાણી અહિંસા અને જીવદયામાં માને છે એ આવો નિર્ણય ન લે
શું કર્યો સરકારે ખુલાસો?
કુપોષિત બાળકો ઇંડા ખાઇને સુપોષિત થશે તે હેતુ મામલે વિવાદ સર્જાયો હતો. ત્યારે રોજીરોટીની તલાશમાં દાહોદ જિલ્લામાં મોટા પાયે સ્થળાંતર થતુ હોય છે. જેથી તેઓને અપાયેલી મરઘી ઇંડા આપે અને તે વેંચીને રૂપિયા કમાતા થાય જેથી સ્થળાંતર અટકે તે યોજના હોવાનો તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.
પશુપાલનના ઉદ્દેશથી અપાયા છે મરઘા
શુક્રવારે બાળકોને પોષિત કરવા પરિવારોને મરઘા આપવાની વાત કરનારા પશુપાલન વિભાગના નાયબ નિયામક કે.એલ ગોસાઇએ શનિવારે રજા હોવા છતાં જિલ્લા પંચાયત ખાતે દોડી ગયા હતાં. તેમણે જણાવ્યુ કે, સ્થળાંતર રોકવા ગરીબ પરિવારોને મરઘી આપવાની યોજના છે. કડકનાથનું એક ઇંડુ 15થી 17 રૂપિયામાં વેચાય છે. જેથી તેના દ્વારા આવક મેળવતા થાય તો સ્થળાંતર ના કરે તેવો હેતુ છે.
શું કહ્યું જિલ્લા કલેક્ટરે
જિલ્લા કલેક્ટર વીજય ખરાડીએ સ્પષ્ટતા કરી કે, જિલ્લામાં આવી કોઈ યોજનાની અમલવારી શરૂ થઈ નથી કે કરવાની પણ નથી. રાજ્યના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાયું છે અને અતિકૂપોષિત બાળકોની વિશેષ કાળજી લઈ રાજ્ય સરકાર કઠોળ સોયાબીન રેડી ટુ ઇટ પોષક આહાર તેમજ દૂધ સંજીવની યોજના અન્વયે દૂધ આપી જ રહી છે. આંગણવાડીઓમાં જનભાગીદારીથી ફળ અને અન્ય પૂરક પોષક આહાર પૂર પાડવામાં આવે છે. એટલે આવી કોઈ નવી યોજના માં ઇંડા આપવાની કોઈ વાત જ ઉપસ્થિત થતી નથી.
આદિજાતી મંત્રી ગણપત વસાવાએ પણ કરી સ્પષ્ટતા
રાજ્યના મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યની કોઈ આંગણવાડીમાં અતિકુપોશિત બાળકોના પોષણ માટે ઇંડા આપવાની કોઈ યોજના છે જ નહિ અને આવો પાયલોટ પ્રોજેક્ટ કોઈ જિલ્લામાં કરવામાં આવ્યો નથી. આંગણવાડીના બાળકોને કઠોળ સોયાબીન રેડી ટુ ઇટ ટેઇક હોમ રાશન અને આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના અન્વયે દૂધ પોષક આહાર તરીકે આપવામાં આવે છે જ.
સીએમ રૂપાણી અહિંસા અને જીવદયામાં માને છે એ આવો નિર્ણય ન લે
મધ્યાહ્ન ભોજનમાં પણ સરકાર સાથે સ્વૈચ્છિક દાતાઓ તિથિ ભોજન અંતર્ગત સાત્વિક આહાર આપે છે. આંગણવાડીઓમાં જન ભાગીદારીથી પણ ફળ કઠોળ સુખડી શીરો રાગી લાડુ વગેરે પૂરક પોષણ અપાય જ છે, એટલે ઇંડા આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના નેતૃત્વમાં અહિંસા અને જીવદયાની કરુણા સંવેદના સાથે કાર્યરત રાજ્ય સરકાર આવી ઇંડા આપવાની કોઈ જ યોજના અમલી બનાવશે નહિ જ એમ મહિલા બાળ કલ્યાણ મંત્રીએ ઉમેર્યું હતું.