ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને વિદેશ ફરાર થયેલા વિજય માલ્યાને ભારત લાવવા માટે એજન્સીઓ સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. મંગળવારે લંડનની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન માલ્યાને રાહત મળી છે. ત્યારે માલ્યાએ પોતાની વેદના ટ્વીટ કરીને ઠાલવી છે. માલ્યાએ ટ્વીટ કરીને બેંકોના રૂપિયા ચૂકવવા ફરી તૈયારી બતાવી છે.
કોર્ટમાંથી રાહત મળતા જ વિજય માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ભગવાન મહાન છે, ન્યાય જરૂર થાય છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે મારા પર લગાવેલા આરોપો ખોટા છે. હવે જ્યારે કોર્ટે પણ પોતાનો ચૂકાદો આપ્યો છે ત્યારે હું ફરી એક વાર કહું છું કે હું બેંકોને રૂપિયા પરત કરવા માટે તૈયાર છું. પૈસા લઈ લો અને મામલો ખતમ કરો. હું તમામ કર્મચારીઓને પૈસા ચૂકવવા માટે તૈયાર છું અને જિંદગીમાં આગળ વધવા માગુ છું. આ સિવાય માલ્યાએ સીબીઆઈ પર પણ ખોટો કેસ કરવાનો આરોપ લગાવ્યો છે.
Despite the good Court result for me today, I once again repeat my offer to pay back the Banks that lent money to Kingfisher Airlines in full. Please take the money. With the balance, I also want to pay employees and other creditors and move on in life.
આપને જણાવીએ કે, મંગળવારે જ લંડનની હાઇકોર્ટમાં વિજય માલ્યા સાથે જોડાયેલા મામલામાં સુનાવણી થઇ હતી. બ્રિટેનની ગૃહ સચિવે વિજય માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવાનો આદેશ આપ્યો હતો. જેના વિરુદ્ધ માલ્યાએ અપીલ કરી હતી. વિજય માલ્યાની આ અપીલ હવે કોર્ટે પણ સ્વીકારી છે.
વિજય માલ્યા હવે તેને પ્રત્યાર્પણ થવા વિરુદ્ધ અરજીને ઉપલી કોર્ટમાં લઇ જઇ શકે છે. ભારતમાં બેન્કો સાથે છેતરપિંડીના મામલે આરોપી વિજય માલ્યા તપાસ દરમિયાન માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. માલ્યાને પાછો લાવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે. પંરતુ હજુ સુધી સફળ થઇ શકી નથી. ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે માલ્યાને ભારતમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો.