એક શાળામાં વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થી પાણી પીવા માટે ગયો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું.
ખેરાલુના મલેકપુરમાં શાળા તંત્રની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે, ભાંઠા પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રિસેસના સમયમાં પાણી પીવા માટે ગયો હતો. તે દરમિયાન પાણીની મોટરને અડતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો હતો.
ઘટના અંગે જાણ થતા જ શાળાનો સ્ટાફ દોડી આવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે તાત્કાલીક ખેરાલુ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું હતું.
આ ઘટના અંગે જાણ થતા જ ખેરાલુ પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારની ઘટનાથી રાજ્યની તમામ શાળાએ ચેતવાની જરૂર છે. ગામ કે શહેરની શાળામાં વીજ વાયરો કે વીજ કરંટની દુર્ઘટના ન થાય તે માટે સુરક્ષા જરૂરી છે. ખુલ્લા વીજ વાયરો ન રાખવા, કરંટ આવતા ઇલેક્ટ્રીક સાધનોનું રિપેરિંગ કરાવવું વગેરે જેવી સાવચેતી જરૂરી છે.