કચ્છઃ સરકારે કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે તેમ છતાં કોઈપણ પ્રકારની રાહત કામગીરી શરુ કરવામાં આવી નથી. જેને લઇને કચ્છ જિલ્લામાંથી માલધારીઓ હિજરત કરાવા મજબુર બન્યા છે. કચ્છ જિલ્લાની સ્થિતિ હાલ વિકટ બની છે ત્યારે માલધારીઓને સરકાર દ્વારા પુરતી રાહત મળતી નથી.
તો જિલ્લાના ધારાસભ્યો તેમજ સાંસદ સરકારમાં રજૂઆત કરવામાં નિષ્ફળ રહ્યા છે. જિલ્લામાં ભાજપના ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરવામાં નિષ્ફળ રહ્યા છે. સરકારમાં ઉગ્ર રજૂઆત કરવાથી ધારાસભ્યો ડરી રહ્યા છે અને અસરગ્રસ્ત માલધારીઓને સહાય પહોંચાડવામાં પણ ધારાસભ્યો નિષ્ક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ માલધારીઓની હિજરતને રોકવામાં તંત્ર અને સરકાર નિષ્ફળ રહ્યા છે.
આ વર્ષે રાજ્યમાં અપૂરતા વરસાદે સહુ કોઈને બે છેડાં ભેગા કરવા મજબૂર કરી દીધા છે. રાજ્યનાં અન્ય હિસ્સા કરતાં કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો. જેના કારણે માલધારીઓને માલઢોર સાથે જીવવું મુશ્કેલ પડી ગયું છે. ત્યારે બીજી બાજુ કચ્છના બન્ની વિસ્તારમાં પણ પાણીની તંગી અને ઘાસચારાની અછતના કારણે માલધારીઓએ મહિના પહેલા પોતાના વિસ્તારમાંથી હિજરત કરી દીધી હતી.