જૂનાગઢમાં LRDની ભરતીમાં માલધારી સમાજને અન્યાય થયો હોવાને પગલે માલધારી સમાજનું આંદોલન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ચાલે છે. પણ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે અને રાજકિય રૂપ ધારણ કરી રહ્યો છે. ભાજપમાં જ આ મુદ્દે ઘમાસાણ મચી ગયુ છે. આ મુદ્દે માલધારી સમાજના બે દીકરાના પિતાની સ્યુસાઈડ નોટે મામલામાં આગ લગાવવાનું કામ કર્યુ છે જેને પગલે સીએમ અને ડેપ્યુટી સીએમે પણ આ અંગે ખુલાસાઓ કરવા પડી રહ્યા છે.
જલ્દીથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશેઃ CM
શું કહે છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ?
કયા કયા ભાજપના જ નેતાએ લખ્યા છે પત્ર
જૂનાગઢમાં માલધારી સમાજના આધેડના આપઘાત અને સ્યુસાઈડ નોટે આ મામલાને સળગતો પ્રશ્નનું સ્વરૂપ આપ્યુ છે. ગઈકાલે આપઘાત કરી લીધા બાદ મૃતદેહ હજુ સુધી માલઘારી સમાજ દ્વારા સ્વીકારાયો નથી અને આ પગલે રાજકારણ ગરમાયું છે.
LRD મુદ્દે સીએમ રૂપાણીનું નિવેદન
જૂનાગઢમાં એલઆરડી ભરતીને લઇ આપઘાત મામલે સીએમ વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે સરકાર આ મામલે સંવેદના વ્યક્ત કરે છે. સરકાર આ મુદ્દે ચર્ચ-વિચારણા કરી નિર્ણય કરશે. એલઆરડી ભરતી મુદ્દે વાતચીત ચાલું છે. અને જલ્દીથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
શું કહે છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ?
LRD મુદ્દે રાજ્યમાં ચાલતા આંદોલનને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે રાજ્યમાં ચાલતા આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્યસરકાર જરૂરી કાર્યવાહી કરશે. કોંગ્રેસ આંદોલનકારીઓને ગેરમાર્ગે દોરી રહી છે. CMને પત્ર લખનાર ધારાસભ્યો અને સાંસદોને નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે કોઈ પણ નેતાઓએ એક ચોક્ક્સ સમાજ મુદ્દે પત્ર ન લખવુ જોઈએ. અત્યારા ધારાસભ્યો અને સાંસદો એક તરફી નિવેદન કરી રહ્યા છે.
કયા કયા ભાજપના જ નેતાએ લખ્યા છે પત્ર
જુગલજી ઠાકોર, સાંસદ, ભાજપ, શંભુપ્રસાદ ટુંડિયા, સાંસદ, ભાજપ, કુંવરજી બાવળીયા, કેબિનેટ મંત્રી, પૂનમબેન માડમ, સાંસદ, ભાજપ, પરબત પટેલ સહિતના નેતાઓએ સરકારને આ અંગે પ્રશ્નો લખ્યા છે. અને કહ્યું છે કે એલઆરડી મુદ્દે થયેલા વિવાદનો અંત લાવો, કેટલાક સમાજને નુકસાન થઈ રહ્યું હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
માલધારી સમાજની માંગ શું છે?
માલધારી સમાજની માગ છે કે LRD પરીક્ષાનું મેરિટ ફરીથી બહાર પાડવામાં આવે. તેઓએ કહ્યું કે, LRD પરીક્ષામાં નેસડાવાસીઓએ STમાં ફોર્મ ભર્યું પરંતુ પરિણામ સમયે LRDના મેરિટમાં STમાં ગણતરી ન થઈ. પોરબંદર, જૂનાગઢ, સોમનાથનાં જંગલ વિસ્તારનાં માલધારીઓનો STમાં સમાવેશ થાય છે અને જંગલ વિસ્તાર સિવાયનાં અન્ય વિસ્તારનાં માલધારીઓ OBCમાં આવે છે. ત્યારે નેસડાવાસીઓનો STમાં સમાવેશ ન થતા વિદ્યાર્થીઓ અટવાયા છે. જેને લઈ હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શું આવ્યું હતુ ભરતી પરીક્ષાનું પરિણામ
LRD માટે કુલ 9713 જગ્યા માટે ભરતી કરવાની છે. પરંતુ ભરતી બોર્ડે માત્ર 8135 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જનરલ કેટેગરીમાં એકપણ મહિલાનું મેરિટ જાહેર થયું નથી. હથિયારી મહિલામાં 1011, બિનહથિયારી મહિલામાં 530નું મેરિટ અટવાયું છે અને જેલ સિપાહી મહિલાની 37 જગ્યાનું મેરિટ લિસ્ટ અટક્યું છે. જેનો આ વિવાદ છે.