રાજ્ય સરકારના રખડતા ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધમાં હવે માલધારી સમાજ મેદાને પડ્યો છે.સરકારના આ કાયદા વિરુદ્ધમાં માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ માલધારી સમાજ થયો એકઠો
અમદાવાદ ,પાલનપુર , સુરતમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
કાળો કાયદો પરત ખેંચો ના સૂત્રોચ્ચાર સાથે તંત્રને આપ્યું આવેદનપત્ર
પાલનપુરમાં માલધારીઓએ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા
ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં માલધારીઓએ ગોચર પાછું આપવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તો બીજી તરફ મહેસાણામાં પણ માલધારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગ કરી હતી તથા ગૌહત્યા બંધ કરવા માટે માલધારી સમાજે વિરોધ કર્યો હતો.આ વિરોધમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્યામભાઇ દેસાઇ પણ જોડાયા છે.આમ વિધાનસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજ સરકાર સામે પડતા રાજ્ય સરકાર ચિંતિત જોવા મળી રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 4, 2022
સુરતમાં પણ માલધારી સમાજે કલેકટર કચેરીએ એકઠા થઈ વિરોધ કર્યો
રાજ્ય સરકારે વિધાનસભામાં તાજેતરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા પસાર કર્યો છે. જેને લઈને માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે તેના વિરોધમાં હવે માલધારી સમાજ મેદાને પડ્યો છે. જેના ભાગરૂપે સુરતમાં માલધારી સમાજના લોકો દ્વારા કાયદો પરત લેવાની માંગ સાથે સુરત કલેકટર કચેરીએ એકઠા થઈ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં. અને ઢોર નિયંત્રણ કાયદાની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ કલેકટર કચેરીએ માલધારી સમાજ થયો એકઠો થઈ વિરોધ કર્યો
બીજી તરફ અમદાવાદમાં પણ કલેકટર કચેરીએ માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિધાનસભામાં પસાર થયેલા કાયદો રદ કરવા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને રઘુ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે મોટી સંખ્યમાં માલધારી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો