જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણને અનેક પ્રકારના પ્રસાદ ધરાવવામાં આવે છે. અવનવી જાતના પ્રસાદ ધરાવીને ભગવાનને ખુશ કરવાના પ્રયાસ દરેક ભક્ત કરતા રહે છે. આ સમયે જો તમે બહારથી પ્રસાદ લાવવાનું વિચારતા હોવ તો તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે. બહારના ભેળસેળવાળા પ્રસાદ લાવવાના બદલે તમે ઘરે જ શુદ્ધ પ્રસાદ બનાવી શકો છો. તો આજે બનાવી લો ઠોરનો પ્રસાદ. જે તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકશો.
સૌપ્રથમ રવો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં ઘીનું મોણ ઉમેરો. હવે તેમાં દૂધ મિક્સ કરો અને કઠણ લોટ બાંધી લો. લોટને ખૂબ જ કેળવો અને તેને સૂંવાળો બનાવો. મોટા લૂઆ લો અને જાડી પૂરી વણો. હવે પૂરીમાં કાણા પાડી લો અને તેને ધીમા તાપે તળો. તે સોનેરી રંગની થશે. ધીમા તાપે તળવાના કારણે તે અંદરથી કાચી નહીં રહે. અન્ય ગેસ પર ખાંડની બે તારી ચાસણી તૈયાર કરો. તળેલી પૂરીઓને થોડી ઠંડી કરીને પછી ચાસણીમાં નાંખો અને પછી તેમાંથી કાઢીને થાળીમાં ગોઠવતા જાઓ.
હવે તેની પર સૂકા મેવાની કતરણ, કેસર અને ઈલાયચી ભભરાવો. જો તમે ઈચ્છો તો તમે તેની પર ગુલાબની પાંદડીઓ પણ ફેલાવી શકો છો. તૈયાર છે તમારો ઠોરનો સુંદર પ્રસાદ ઠાકોરજીને ધરાવવા માટે.