ઊંધિયાને મળતી આવતી અન્ય એક વાનગી એટલે ઊંબાડિયું, જેનો જન્મ પણ દક્ષિણ ગુજરાતમાં જ થયેલો. તેમાં શાકભાજીને માટલામાં બંધ કરીને ધીમી આંચે બાફવામાં આવે છે. ફરક એટલો કે ઊંધિયાને શાકની રીતે તૈયાર કરવામાં આવે છે. જ્યારે ઊંબાડિયામાં તેલ કે રસો નથી હોતો. શિયાળાની સિઝન શરૃ થતાં જ દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર તેના સ્ટોલ લાગી જતાં હોઈ મુંબઈ તરફથી ગુજરાત આવતા મુસાફરોને આ ચટાકેદાર વાનગીનો સ્વાદ માણવાની તક મળી રહે છે.
શિયાળામાં ખાસ બને છે આ શાક
શાકનો ખજાનો છે આ ઊબાડિયું
માટલામાં ખાસ રીતે બનાવવામાં આવે છે ઊબાડિયું
આ રીતે બનાવવામાં આવે છે ઊબાડિયું
ઊંબાડિયામાં બટાટાથી લઈને પાપડી સહિતનાં બધાં શાકને સમારી, કાપા મૂકીને તેમાં ચટણી ભરવામાં આવે છે. ત્યાર બાદ હથેળીમાં સમાય તેટલું તેલ, અજમો અને મીઠું ભભરાવી બધું બરાબર હલાવી લેવાય છે. એ પછી એક માટલામાં બહાર લીંપણ કરી, તળિયે કલાર નામની વનસ્પતિ પાથરી દઈ બધાં શાક તેમાં ભરી દેવામાં આવે છે. ફરી કલારથી માટલાનું મોં ઢાંકી તૈયાર કરેલા ખાડામાં ઊંધું મૂકી આજુબાજુ તાપણું કરી દેવાય છે. જેના કારણે તેમાં રહેલાં વિવિધ શાકભાજીમાં તેલ, મીઠું તથા અજમો ભળી જતાં ઊંબાડિયું એક અનોખો સ્વાદ ધારણ કરી લે છે. પોણો કલાક સુધી ધીમા તાપે શેક્યા બાદ ઊંબાડિયું તૈયાર થઈ જતાં તેને કાઢી લઈને ગરમાગરમ પીરસવામાં આવે છે.
આ છે ઊબાડિયુંની ખાસિયત
ઊંબાડિયાની ખાસિયત એ છે કે તે જૂની પદ્ધતિ પ્રમાણે બનતું હોવાથી ઓવન કે ગેસ પર બનાવવું શક્ય નથી. તેમાં વપરાતા મસાલામાં સામાન્ય રીતે દાદીમાના નુસખા તરીકે વપરાતી વનસ્પતિઓનો ઉપયોગ થતો હોઈ શરીરને જરૃરી ઊર્જા મળે છે. આગની ગરમીથી બનતું હોવાથી તેની અંદર મૂકેલા તીખા મસાલા તથા અન્ય સામગ્રી ધુમાડા સ્વરુપે તેમાં ભળતાં એક ખાસ પ્રકારનો સ્વાદ રચે છે. તેમાં એકથી વધુ પૌષ્ટિક શાકભાજીઓ હોવાથી શરીર માટે પણ સારું રહે છે. શિયાળાની સિઝન શરૃ થતાં જ નવસારી, વાપી, વલસાડ તરફ આ ઊંબાડિયાના સ્ટોલ લાગી જાય છે. તમે ચાહો તો ઘરે પણ તે બનાવીને પરિવાર સાથે સ્વાદ માણી શકો છો.